બાબરામાં વિજયાદશમી નિમિત્તે જય શ્રી રામના નારા સાથે રામ-રાવણ વચ્ચે બરાબરનું યુદ્ધ જામ્યું હતું. જેને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા.
અમરેલીમાં વિજયાદશમી પર્વની અનોખી ઉજવણી
મહાકાળી મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્યું આયોજન
યુદ્ધ જોવા ઉમટેલા લોકો પ્રસાદી રૂપે ખાય છે માર
માતાજીની આરાધનાના પર્વ નવરાત્રી પૂર્ણ થયા બાદ આજે દેશભરમાં વિજયાદશમી પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. તેવામાં અમરેલી જિલ્લાના બાબરા ખાતે દશેરાની ઉજવણીનું અનોખુ આયોજન કરવામાં આવ્યું હતું. જે નિમિત્તે મહાકાળી મિત્ર મંડળ દ્વારા રામ-રાવણના યુદ્ધ સહીતના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ આયોજનની વિશેષતાએ છે કે, અહી પ્રસાદીમાં લોકોને માર મારવામાં આવે છે.
જય શ્રી રામના નારા સાથે જામે છે યુદ્ધ
સાંસ્કૃતિ, કલા અને પરંપરાની દ્રષ્ટિએ ગુજરાત અન્ય રાજ્યથી અલગ તરી આવે છે. તેવામાં ગુજરાતના એક ગામડામાં વિજયાદશમી પર્વમાં પણ ભિન્નતાના દર્શન થયા હતા. જેમાં વિજયાદશમીના અવસરે અમરેલીના બાબરામાં રામ રાવણના યુદ્ધનું દ્રશ્ય ઊભું કરવામાં આવ્યું હતું. આ દરમિયાન જય શ્રી રામના નારા સાથે રામ-રાવણ વચ્ચે યુદ્ધ જામ્યું હતું. જેને જોવા માટે દૂર દૂરથી લોકો ઉમટી પડ્યા હતા. આ વેળાએ યુદ્ધ જોવા ઉમટેલા લોકોને પ્રસાદી રૂપે માર મારવામાં આવે છે. હનુમાનજીની ગદા અને લીમડી વાસથી બનાવેલા શસ્ત્રોથી લોકોને માર મારી પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી.