અમરેલીના રાજુલા રેલવે જમીન વિવાદ મામલે કેન્દ્રીય રેલ મંત્રી પિયુષ ગોયલે તપાસના આદેશ આપ્યા છે. હાલ જમીન વિવાદને લઈને રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેર છેલ્લા 14 દિવસથી ઉપવાસ પર બેઠા છે. સમગ્ર મામલે કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે રેલ મંત્રી પિયુષ ગોયલેને રજૂઆત કરી હતી. આથી કેન્દ્રીય રેલ મંત્રી પિયુષ ગોયલે તપાસના આદેશ આપ્યા છે. જો કે, અમરીશ ડેરે જો પ્રકરણનો ઉકેલ નહિ આવે તો 16માં દિવસે અનશન પૂર્ણ કરી આગામી દિવસોમાં રેલ રોકો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.
આપને જણાવી દઈએ કે, રાજુલામાં રહેલી રેલવેની જમીનને રાજુલા નગરપાલિકાએ બ્યુટીફીકેશન માટે ઉપયોગમાં માગી હતી આથી રેલવે દ્વારા રાજુલા નગરપાલિકાના સત્તાધીશોને એગ્રીમેન્ટ કરવા બોલાવ્યા હતા અને ત્યારબાદ રેલવે વિભાગ દ્વારા આ જમીન પર ફેન્સિંગનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. રેલવેના ફેન્સિંગના કામના કારણે લોકોને અવરજવરમાં પરેશાની થશે તેવા દાવા સાથે આ બાબતે કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેરે વિરોધ નોંધાવ્યો હતો. અને જમીનની માગ સાથે અમરીશ ડેરે 16 દિવસનું ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે.