કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે "પેટ્રોલના ભાવ અને ટેક્સ કલેક્શન વચ્ચે સંતુલન હોવું જોઈએ. મને ખાતરી છે કે નાણાં પ્રધાન કોઈ રસ્તો શોધી કાઢશે."
પેટ્રોલ-ડીઝલના કિંમતમાં છેલ્લા અમુક સમયથી થઈ રહ્યો છે વધારો
મને વિશ્વાસ છે કે નાણાં મંત્રી જરૂરથી કોઈ રસ્તો શોધી કાઢશે : કેન્દ્રીય મંત્રી
પેટ્રોલની કિંમતો અને ટેક્સ કલેક્શન વચ્ચે બેલેન્સ હોવું જોઈએ : ધર્મેન્દ્ર પ્રધાન
કેન્દ્રીય પેટ્રોલિયમ મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાને પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં લાગેલી આગના કારણો ગણાવ્યા હતા. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ કિંમતોમાં વધારાના બે મુખ્ય કારણો છે. પહેલું એ છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલનું ઉત્પાદન ઘટી ગયું છે. તેલ ઉત્પાદક દેશો મહત્તમ નફો મેળવવા ઓઇલનું ઉત્પાદન ઘટાડતા હોય છે. આને કારણે ક્રૂડનો વપરાશ કરનારા દેશોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વધુમાં તેમણે કહ્યું કે અમે સતત ઓપેક અને ઓપેક પ્લસ દેશોને વિનંતી કરી રહ્યા છીએ કે આવું ન થવું જોઈએ. આશા છે કે તેમાં બદલાવ આવશે.'
પેટ્રોલિયમ પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે ' આ મામલે બીજું મહત્વનું કારણ કોરોના વાયરસ રોગચાળો છે. અમારે ઘણા વિકાસ કામો કરવાના છે. આ માટે, કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ટેક્સ વસૂલ કરવો પડશે જેથી વધુને વધુ વિકાસના કામોમાં ખર્ચ કરી શકાય અને લોકોને રોજગાર મળે. સરકારે આ રોકાણમાં વધારો કર્યો છે અને આ બજેટમાં 34 ટકા વધુ ખર્ચ કરવાની જોગવાઈ કરવામાં આવી છે.'
આ સિવાય વધુમાં તેમણે એમ પણ જણાવ્યું હતું કે "રાજ્ય સરકારો પણ તેમના ખર્ચમાં વધારો કરી રહી છે, તેથી આપણને ટેક્સની જરૂર છે, પરંતુ સંતુલન પણ જાળવવું જોઈએ. મને વિશ્વાસ છે કે નાણા પ્રધાન કોઈ રસ્તો કાઢશે."
મહત્વનું છે કે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારાને લઈને ચર્ચા ચાલી રહી છે. દરમિયાન રવિવારે પશ્ચિમ બંગાળ સરકારે એક મોટી ઘોષણા કરી હતી જેના અનુસાર બંગાળમાં પેટ્રોલ -ડીઝલના ભાવમાં 1 રૂપિયા ઘટાડવાનો નિર્ણય લીધો છે. ખાસ વાત એ છે કે દેશના ઘણા શહેરોમાં ફ્યુઅલની કિંમતો રૂપિયાને વટાવી ગઈ છે. વિપક્ષી પાર્ટીઓ અને સામાન્ય લોકો કેન્દ્ર સરકાર પાસેથી ઇંધણના ભાવોને અંકુશમાં રાખવા સતત માંગણી કરી રહ્યા છે.
સૂત્રોએ આપેલી માહિતી અનુસાર બંગાળની રાજધાની કોલકાતામાં રવિવારે પેટ્રોલની કિંમત 91.78 રૂપિયા હતી. જ્યારે ડીઝલ 84.56 રૂપિયા પ્રતિ લિટર હતું. પાટનગર દિલ્હીમાં રવિવારે પેટ્રોલ 90.58 રૂપિયા પ્રતિ લિટર વેચાયું હતું.ખાસ વાત એ છે કે આ વર્ષે બંગાળમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે સરકાર ચૂંટણીના થોડા દિવસ પહેલા ભાવ ઘટાડશે.