PM મોદીની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઈ હતી. ઉલ્લેખનીય છે કે PM મોદીના બીજા કાર્યકાળમાં પ્રવેશ કર્યા બાદ આ પ્રથમ બેઠક યોજાયેલ. આ મિટીંગમાં લેવાયેલા નિર્ણયોની માહિતી કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પત્રકાર પરિષદને સંબોધી હતી.જેમાં MSMEને લઇને મહત્વની જાહેરાત કરી હતી. આ સાથે ખેડૂતો માટે પણ મહત્વની જાહેરાતો કરવામાં આવી હતી.
નબળા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે 4 હજાર કરોડનું ફંડ: ગડકરી
કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું કે દેશમાં 6 કરોડ MSME છે. એમએસએમઇને કારણે દેશમાં 11 કરોડથી વધુ નોકરીઓ મળી છે. 2.5 મિલિયન એમએસએમઇનું પુનર્ગઠન થવાની અપેક્ષા છે. નાના ક્ષેત્રમાં ટર્નઓવર મર્યાદા 50 કરોડ કરવામાં આવી છે.
આ સાથે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, હાલમાં એમએસએમઇ ઉદ્યોગ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. નવા ભંડોળમાંથી 2 લાખ એમએસએમઇ શરૂ કરવામાં આવશે. નબળા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે 4 હજાર કરોડના ભંડોળને મંજૂરી આપવામાં આવી છે.
ખેડૂતોને લઇને મોદી કેબિનેટમાં લેવાયા કેટલાક નિર્ણયો
કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે ખેડૂતોને લઇને લેવાયેલા નિર્ણય અંગેની જાહેરાત આપી હતી. સરકારે તમામ મામલે સંવેદનશીલતા સાથે કામ કર્યું અને તેના કારણે જ સમયસર ખેડૂતો પાકની લણણી કરવાનું કામ કરી રહ્યા છે. ત્યારે હવે 14 પાક પર, ખેડૂતોને ખર્ચ કરતા 50 થી 83 ટકા વધુ રકમ મળશે. આ સાથે જ ખેતીકામ સાથે જોડાયેલા ખેડૂતોની 3 લાખ સુધીની ટૂંકા ગાળાની લોનની ચૂકવણીની તારીખ લંબાવીને 31 ઓગસ્ટ 2020 કરવામાં આવી છે. તો ખેડૂતોને વ્યાજમાં પણ છૂટછાટ આપવાની પણ મંજૂરી આપવામાં આવી છે. આ સાથે જ ખેડૂતો જ્યાં ઈચ્છે ત્યાં પાક વેચી શકશે.
MSMEને 20 હજાર કરોડ લોનના પ્રસ્તાવને મંજૂરી
મોદી કેબિનેટની બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં ખેડૂત અને ઉદ્યોગોને લઇને કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા જેની જાણકારી 3 કેન્દ્રીય મંત્રીઓએ આપી હતી. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે, MSMEને 20 હજાર કરોડની લોનના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. જેનાથી રોજગારીમાં વધારો થશે.
Key steps taken by the government to boost MSMEs; Rs 20,000 crores infusion into the sector: Union Minister Prakash Javadekar pic.twitter.com/xQzmnBpXyr
દેશમાં આજથી અનલૉક 1ની શરૂઆત થઈ છે. જે 30 જૂન સુધી ચાલશે. સરકારે તેને લૉકડાઉનને બદલે અનલૉક 1 નામ આપ્યું છે, આ ફેઝમાં સરકારે કન્ટેનમેન્ટ ઝોનને છોડીને અન્ય જગ્યાએ મોલ અને રેસ્ટોરન્ટને ખોલવાની મંજૂરી પણ આપી છે. 8 જૂનથી મોલ અને રેસ્ટોરન્ટ ખૂલી શકશે. ગૃહમંત્રાલયે કન્ટેનમેન્ટ ઝોનની બહારના વિસ્તારોને ફરીથી ખોલવા માટેના નિયમો જાહેર કર્યા છે.આ દિશા નિર્દેશ આજથી લાગૂ થશે અને સાથે 30 જૂન સુધી કાયમ રહેશે.