પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી સામે ભાજપને સારા ચહેરાની જરૂર છે ત્યારે દિગ્ગજ મહિલા નેતાને મેદાનમાં ઉતારાય તેના પર ચર્ચા ચાલી રહી છે.
પશ્ચિમ બંગાળમાં ભાજપની ભૂંડી હાર
હવે બંગાળમાં ભાજપ પોતાનો ચહેરો બદલે તેવા અણસાર
જીત બાદ વધારે આક્રમક થશે મમતા બેનર્જી
ભાજપ કરશે મોટા ફેરબદલ!
પશ્ચિમ બંગાળમાં ભાજપે વિધાનસભા ચૂંટણી જીતવા માટે ખૂબ મહેનત કરી પરંતુ મમતા બેનર્જીના ચહેરા સામે ભાજપ સારું પ્રદર્શન કરી શક્યું નથી. રાજ્યમાં પીએમ મોદી અને અમિત શાહે પણ ખૂબ પ્રચાર કર્યો છતાં મમતા બેનર્જીના વિજયરથને રોકી ન શક્યા. આટલી મોટી જીત બાદ હવે મમતા બેનર્જીનું કદ પણ દેશમાં વધી ગયું છે ત્યારે ભાજપ હવે બંગાળમાં પોતાનો ચહેરો બદલવા માટે વિચાર કરી રહ્યું હોય તેવા સમાચાર સામે આવ્યા છે. આગામી સમયમાં મમતા બેનર્જી ખૂબ જ આક્રમક થશે અને તે પડકારને જોતાં ભાજપ મોટા ચહેરાને રાજ્યમાં મેદાનમાં ઉતારવા પર વિચાર કરી રહ્યું છે.
કૈલાશ વિજયવર્ગીયને હટાવાય તેવી શક્યતા
પશ્ચિમ બંગાળમાં ભાજપ જ્યાં મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે ત્યાં હવે મીડિયા અહેવાલ અનુસાર પ્રભારી કૈલાશ વિજયવર્ગીયની છુટ્ટી કરાઇ શકે છે. વિજયવર્ગીય બંગાળના ભાજપ પ્રભારી છે તથા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ પણ છે.
વિજયવર્ગીયના વિવાદો તેમને પડશે ભારે
માનવામાં આવે છે કૈલાશ વિજયવર્ગીયના વિવાદિત નિવેદનોના કારણે પાર્ટીના કેટલાક નેતાઓમાં તેમને સારા નથી માનતા. વિધાનસભા બેઠકોમાં ભદ્રલોક સમાજના લોકોને પણ વિજયવર્ગીયનું વલણ ગમ્યું નથી. આટલું જ નહીં તેઓ ઘણીવાર એવા નિવેદનો આપી ચૂક્યા છે જેના કારણે પાર્ટીએ સ્પષ્ટતા આપીને ખુદને દૂર કરવી પડે છે. ચૂંટણીમાં તેમણે મમતા બેનર્જીને બરમૂડા પહેરવાની સલાહ આપ્યા બાદ ભાજપે ભારે ટીકાનો સામનો કરવો પડ્યો હતો.
સ્મૃતિ ઈરાનીને સોંપાશે જવાબદારી
એક મીડિયા અહેવાલ અનુસાર ભાજપ હવે કૈલાશ વિજયવર્ગીયની જગ્યાએ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને પશ્ચિમ બંગાળની જવાબદારી આપવા મુદ્દે વિચાર કરી રહી છે. સ્મૃતિ ઈરાનીની છબી અત્યારે સારી છે તથા ગત લોકસભા ચૂંટણીમાં તેમણે રાહુલ ગાંધીને હાર આપ્યા બાદ પાર્ટીમાં તેમનું કદ પણ વધી રહ્યું છે.
સ્મૃતિ ઈરાની વિષે રોચક વાત એ છે કે તેઓ ખૂબ સારા વક્તા હિન્દી જ નહીં પણ બંગાળીમાં પણ છે કારણ કે તેમના માતા બંગાળી છે.