કેન્દ્રીય ગૃહ મંત્રી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહ આજથી ફરી બે દિવસની ગુજરાત મુલાકાતે આવી રહ્યાં છે. જો કે અમિત શાહની મુલાકત પારિવારીક હોવાનું જાણવા મળી રહ્યું છે. અમિત શાહ કાર્યકરો અને પરિવાર સાથે ઉત્તરાયણનો પર્વ મનાવશે તેવી જાણકારી મળી છે. તેમ છતાં રાજ્યના સંગઠનના ફેરફારને લઇને ફરી અટકળો તેજ જોવા મળી રહી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલમાં જ બે દિવસની ગુજરાત મુલાકાતે આવ્યાં હતા. અમિત શાહે ગાંધીનગર અને અમદાવાદ ખાતેના કાર્યક્રમોમાં હાજરી આપી હતી. જેમાં ગાંધીનગરમાં ગૃહ વિભાગે બનાવેલી એપ્લિકેશનનું લોન્ચિંગ કર્યું હતું. ત્યારબાદ અમદાવાદ ખાતે નારણપુરા ખાતેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજરોજ ફરી રાતે અમદાવાદ આવી પહોંચશે. આવતી કાલે ઉત્તરાયણ પર્વના નિમિત્તે તેઓ કાર્યકરો અને પરિવાર સાથે ઉત્તરાયની ઉજવણી કરશે. જ્યારે અમિત શાહ 15મીએ ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરમાં એક કાર્યક્રમમાં હાજરી આપશે.
અમિત શાહ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમણે CM વિજય રૂપાણી સાથે સીએમ નિવાસ સ્થાને બેઠક કરી હતી. સંગઠનમાં ફેરફાર અને અન્ય ચાલતી હાલની સમસ્યાઓ પણ મંથન કર્યું હતું. આ બેઠક આશરે 20 મિનિટ ચાલી હતી જેમાં નીતિન પટેલ અને જિતુ વાઘાણી પણ હાજર રહ્યા હતા.