કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ LAC ઉપર ચીન સાથેના તણાવ માટે કોંગ્રેસને જવાબદાર ગણાવ્યું છે.
પ્રહલાદ જોશીનો આક્ષેપ છે કે ચીન ભારતની આટલી નજીક આવવાનું કારણ એ છે કે ચીને તિબેટ કબજે કરી લીધું. તેમનું કહેવું છે કે તે સમયે જો શાસક કોંગ્રેસે ચીનનો તિબેટ કબજે કરવા મુદ્દે વિરોધ કર્યો હોત તો આજે આ સ્થિતિ ન હોત.
કોલસા મંત્રીએ એટલી હદ સુધી કહ્યું હતું કે જવાહરલાલ નહેરુ લડાખ વિષે કહ્યું હતું કે "જ્યાં ઘાસ પણ નથી ઉગતું તેવી જમીનની આપણે શું કામ ચિંતા કરવી જોઈએ?" જોશીએ કહ્યું હતું કે કોંગ્રેસના વલણને લીધે ચીને તિબેટ પર કબજો મેળવ્યો ત્યારે કોંગ્રેસે તેમનો કોઈ વિરોધ ન કર્યો.
આ ઉપરાંત જોશીએ કહ્યું હતું કે કોંગ્રેસ ઉપર ચીન પાસેથી ડોનેશન લેવાના આક્ષેપો છે. આ વિષે તેમણે સ્પષ્ટતા આપવી પડશે. જ્યાં સુધી ભાજપની વાત છે તો મોદી સરકાર એક ઇંચ જમીન ગુમાવવા તૈયાર નથી.
ચીન સાથેના કથિત સંબંધોને લઇને કોંગ્રેસને ઘેર્યું
ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું હતું કે ચીને હમણાં એક ટ્વીટમાં કહ્યું છે કે કોંગ્રેસ મોદી સરકારને જડથી હલાવી રહ્યું છે. તેમણે આક્ષેપ મુક્યો હતો કે ચીનના કોંગ્રેસ માટેના કુણા વલણને જોઈને લાગી રહ્યું છે કે કોંગ્રેસ અને ચીનની શાસક કોમ્યુનિસ્ટ પાર્ટી વચ્ચે સાઠગાંઠ હોઈ શકે છે.