કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મોડી રાતથી અમદાવાદની મુલાકાતે છે. તેમના પારિવારિક પ્રસંગમાં હાજરી આપવા અમિત શાહ 4 અને 5 તારીખે અમદાવાદ રહેશે. ભાજપના નેતા તરીકે આવવાના ન હોવાથી તેમની મુલાકાત અંગે કમલમમાં ખાસ કોઇ સૂચના આપવામાં આવી ન હોવાનું જાણકાર સુત્રોનું કહેવું છે.
જોકે તેમની 29મી ઓગસ્ટમી મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગુજરાતના ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાથે બંધબારણે બેઠક યોજીને વિધાનસભાની સાત બેઠકોની પેટા ચૂંટણી માટેના સંભવિત ઉમેદવારો મુદ્દે ચર્ચા કરી હોવાનું બહાર આવ્યું હતું. આ ચર્ચાને આગળ ધપાવવા ઉપરાંત ભાજપમા સંગઠનને વધું સંગીન બનાવવા માટે ચાલી રહેલા અભિયાનને વેગ આપવા માટે પણ તેઓ ચર્ચા કરે તેવી સંભાવના હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આજ રીતે આગામી વર્ષે રાજ્યસભાની ચાર બેઠકો માટે આવી રહેલી ચૂંટણી માટેના વ્યૂહની પણ આગોતરી તૈયારી કરવા માટે તેઓ ભાજપના ટોચના નેતાઓ સાથે ચર્ચા કરે તેવી સંભાવના છે. પેટા ચૂંટણીમાં પણ ભાજપનો દેખાવ લોકસભાની છેલ્લી ચૂંટણી જેટલો જ સંગીન રહે તેવી ગણતરી સાથે તમામ પગલાંઓ લેવાનું આયોજન કરવામાં આવે તેવી સંભાવનાઓ છે. જ્યારે ગુજરાતના જુદાં જુદાં બોર્ડ અને નિગમમાં ખાલી પડેલી જગ્યાઓ પર કોને ગોઠવવા અને ચૂંટણી પૂર્વે કોને આકર્ષક હોદ્દા પર બેસાડી દઇને ચૂંટણી ટાણે વિવાદ ન થાય તેનું આયોજન કરવાનું તેમનું લક્ષ્યાંક હોવાનું જાણવા મળી રહ્યું છે. સંગઠન અભિયાન પૂરૂ થયા પછી કોને કયા હોદ્દા પર પ્રસ્થાપિત કરવા તે મુદ્દે પણ ચર્ચા થવાની સંભાવના છે.