ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યમાં તમામ પક્ષો સક્રિય થઇ ગયા છે. દરેક પક્ષો આગામી ચૂંટણીમાં જીત હાંસલ કરવા એડીચોટી સુધીનું જોર લગાવી રહ્યાં છે. ત્યારે ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે વડોદરામાં સાંસદો, ધારાસભ્યો, જિલ્લા પંચાયતના પ્રમુખો, પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે વડોદરાના પ્રવાસે
મધ્ય ગુજરાતના ભાજપના નેતાઓ સાથે કરશે બેઠક
સાંસદ, ધારાસભ્યો, પ્રમુખો અને પદાધિકારીઓ સાથે કરશે બેઠક
30 અને 31 ઓક્ટોબરે ગુજરાતના પ્રવાસે આવશે PM મોદી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા તમામ રાજકીય પાર્ટીઓ ચૂંટણી જીતવા માટે તનતોડ મહેનત કરી રહી છે. આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી ગુજરાતમાં ત્રિપાંખીયો જંગ ખેલાવાનો છે. એવામાં હંમેશા ચૂંટણી મોડમાં રહેતી ભારતીય જનતા પાર્ટી પણ એડીચોટીનું જોર લગાવી રહી છે. ભારતીય જનતા પાર્ટી મિશન 182 હાંસલ કરવા મથામણ કરી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે તમામ રાજકીય પક્ષના કેન્દ્રીય નેતાઓ સતત ગુજરાતમાં આવજાવ કરી રહ્યાં છે. ત્યારે 6 દિવસના ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે વડોદરામાં મધ્ય ગુજરાતના નેતાઓ સાથે બેઠક કરશે. તો વડાપ્રધાન મોદી પણ ફરીવાર 30 અને 31 ઓક્ટોબરે ગુજરાતના પ્રવાસે આવશે. PM મોદી કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા પરેડમાં ભાગ લેશે. સાથે જ ભૂલ ભુલૈયા ગાર્ડન, મિયાવાકી ગાર્ડન, કમલમ ગાર્ડનનું લોકાર્પણ કરશે.
વડોદરામાં સાંસદ, ધારાસભ્યો, પ્રમુખો અને પદાધિકારીઓ સાથે કરશે બેઠક
ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મધ્યગુજરાતના નેતાઓ સાથે વડોદરામાં બેઠક કરશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 6 દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે તેઓ વડોદરામાં મધ્ય ગુજરાતના ભાજપના સાંસદ, ધારાસભ્યો, પ્રમુખ અને પદાધિકારીઓ સાથે બેઠક કરશે. અમિત શાહની વડોદરા મુલાકાત અંગે પ્રદેશ ભાજપના મહામંત્રી ભાર્ગવ ભટ્ટે નિવેદન આપ્યું છે.
ત્રણ અલગ-અલગ વિભાગોમાં બેઠકો યોજાશે
ભાર્ગવ ભટ્ટે જણાવ્યું કે, આજે મધ્ય ઝોનના 8 જિલ્લાના જિલ્લા સ્તરના કાર્યકર્તાઓ સાથે વડોદરામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર પાટીલ બેઠક કરશે. ત્રણ અલગ-અલગ વિભાગોમાં બેઠકો યોજાશે. જિલ્લા પ્રમુખ, જિલ્લા પ્રભારી અને પ્રદેશના પદાધિકારીઓ સાથે એક બેઠક યોજાશે.
આજની બેઠક સંગઠનની દ્રષ્ટીએ મહત્વનીઃ ભાર્ગવ ભટ્ટ
તેમણે જણાવ્યું કે, જ્યારે બીજી બેઠક ચૂંટાયેલા વર્તમાન સાંસદો, વર્તમાન ધારાસભ્યો, જિલ્લા પંચાયતના પ્રમુખો, મહાનગર પાલિકાના મેયર, ચૂંટાયેલા સદસ્યો સાથે યોજાશે. ત્રીજી બેઠક ચૂંટાયેલા સદસ્યો, મોરચાના તમામ અગ્રણીઓ, સહકારી ક્ષેત્રના આગેવાનો સાથે યોજાશે. બેઠકમાં વર્તમાન રાજકીય પરિસ્થિતિ પર વિસ્તારમાં વિચાર વિમર્ષ થશે. આજની બેઠક સંગઠનની દ્રષ્ટીએ મહત્વની છે. આ બેઠકોમાં પ્રધાનમંત્રીના આગામી કાર્યક્રમો પર પણ ચર્ચા થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા માટે હવે ભાજપે કમર કસી છે. આપના આક્રમક પ્રચાર અને વધતી લોકપ્રિયતા સામે ભાજપના ઉચ્ચ હોદ્દેદારોએ બેઠકોનો દોર શરૂ કર્યો છે. 30 અને 31મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ફરી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.