પવિત્ર કૈલાસ માનસરોવરના સંરક્ષણની દિશામાં ભારતે મોટી સફળતા મેળવી છે. યુનેસ્કોએ તેને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો અપાવવા માટે સહમતિ પ્રદાન કરવાની સાથે અંતિમ યાદીમાં સામેલ કરી લીધું છે. જે પ્રસ્તાવ તૈયાર કરાયો છે તે અનુસાર આંતરરાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતા આ ક્ષેત્રને પ્રાકૃતિકની સાથે સાંસ્કૃતિક શ્રેણીના સંરક્ષિત હેરિટેજનો દરજ્જો મળશે.
પવિત્ર કૈલાસ ભૂક્ષેત્ર ભારત સહિત ચીન અને નેપાળની સંયુક્ત સંપત્તિ છે. તેને યુનેસ્કો સંરક્ષિત વર્લ્ડ હેરિટેજનો દરજ્જો અપાવા માટે ચીન અને નેપાળ પહેલા જ પોતાનો પ્રસ્તાવ યુનેસ્કોને મોકલી ચૂક્યા હતા. હવે ભારતે પણ આ દિશામાં આગળ વધતાં પોતાના ભાગવાળા ૭,૧૨૦ વર્ગ કિમી ક્ષેત્રફળને યુનેસ્કોથી પ્રારંભિક મંજૂરી પ્રદાન કરાવી દીધી છે. આ રીતે કુલ ૩૧,૨૫૨ વર્ગ કિમી ભાગ યુનેસ્કોની અંતિમ યાદીમાં સામેલ થયો છે. આ કામ દહેરાદૂનમાં સ્થાપિત યુનેસ્કોના કેટેગરી-૨ સેન્ટરના માધ્યમથી કરાયું, જેના પર એશિયા પેસિફિક ક્ષેત્રના દેશોના પ્રાકૃતિક હેરિટેજને વૈશ્વિક ફલક પર ઓળખ અપાવવાની જવાબદારી છે.
કેટેગરી સેન્ટરના ડિરેક્ટર ડો. વી.વી. માથુરે જણાવ્યું કે નેપાળની આંતરરાષ્ટ્રીય સંસ્થા ઇજી મોડ અને ઉત્તરાખંડ અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર વગેરેએ આમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. તેણે જણાવ્યું કે અંતિમ યાદીમાં પવિત્ર કૈલાસ ભૂ ક્ષેત્રને સ્થાન મળ્યા બાદ નિયમાનુસાર એક વર્ષ સુધી વિવિધ સ્તર પર કામ કરવાનું હોય છે. ત્યાર બાદ મુખ્ય પ્રસ્તાવ બનાવીને યુનેસ્કોને મોકલાશે અને પછી તેને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપવાની કાર્યવાહીને અંતિમ સ્વરૂપ અપાશે.
ભારત, ચીન અને નેપાળના ભેગા પ્રયાસોથી કૈલાસ ભૂ-ક્ષેત્રને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો અપાવવાની કવાયત પોતાના અંતિમ પડાવ પર છે. તેનાથી સમગ્ર ભૂ-ક્ષેત્રનો વિકાસ થશે અને કૈલાસ માનસરોવર યાત્રા પણ બહેતર બનશે.