મંદી અને મોંઘવારીની સાથે સાથે બેરોજગારીના મામલે પણ દેશના લોકોમાં ચિંતા વધી રહી છે. ખાસ કરીને બેરોજગારી અંગે શહેરના લોકો વધુ ચિંતિત છે. એક માર્કેટ રિસર્ચ કંપનીએ હમણા બહાર પાડેલા એક રિપોર્ટ 'વ્હોટ વરીઝ ધ વર્લ્ડ' અનુસાર ૪૬% શહેરી ભારતીયો બેકારીના મુદ્દાને સૌથી મોટી ચિંતા માને છે. ગત નવેમ્બરમાં આગલા મહિનાની તુલનામાં શહેરી ભારતીયોમાં બેકારીની ચિંતામાં ત્રણ ટકાનો વધારો થયો છે.
મંદી અને મોંઘવારીની સાથે સાથે બેરોજગારીએ વધારે ચિંતા
બે રોજગારી મામલે શહેરી લોકાની ચિંતાના વધારે
રોજગારની તકો ઘટી હોવાની વાત સરકારના મંત્રીએ નકારી
આ માર્કેટ રિસર્ચ કંપની દર મહિને ર૮ દેશોમાં આ સર્વેક્ષણ કરે છે, જેનો હેતુ વિવિધ મુદ્દાઓ પર લોકોના સંતોષ અને અસંતોષનું સ્તર જાણવાનો છે. આ સર્વેક્ષણમાં આપણા માટે ચોક્કસ આશ્વાસન આપે તેવી છે કે ૬૯ ટકા શહેરી ભારતીયો માને છે કે દેશ સાચા માર્ગ પર આગળ વધી રહ્યો છે. તેનો અર્થ એ કે તેઓ દેશની હાલની સ્થિતિથી એકંદરે સંતુષ્ટ છે. નાણાકીય અને રાજકીય ભ્રષ્ટાચાર, ગુના અને હિંસા, ગરીબી, સામાજિક અસમાનતા અને પ્રદૂષણ જેવા મુદ્દાઓ તેમને પરેશાન કરી રહ્યા છે, પરંતુ તેઓ એકંદરે આશાવાદી છે.
રોજગારની તકો ઘટી હોવાની વાત સરકારના મંત્રીએ નકારી
તેમ છતાં ભારતના સંદર્ભમાં સર્વેનો સંદેશ સ્પષ્ટ છે કે બેકારી એ ભારત સરકાર માટે સૌથી મોટો પડકાર છે. સર્વે સાફ સૂચવે છે કે સરકારે પણ રોજગારી વધે તે બાબતને અગ્રતા આપવી પડશે. પરંતુ સમસ્યા એ છે કે સરકાર તેના પર ઘણી મૂંઝવણમાં હોવાનું જણાય છે. એક તરફ કેન્દ્ર સરકારનું શ્રમ મંત્રાલય પોતે જ કહે છે કે દેશમાં ર૦૧૭-૧૮માં બેરોજગારીનો દર ૬.૧ ટકા હતો, જે ૪પ વર્ષમાં સૌથી વધુ હતો. પરંતુ બીજી તરફ અનેક પ્રસંગે ખુદ સરકારના પ્રતિનિધિઓ તેનો ઇનકાર કરતા રહે છે. તાજેતરમાં કેન્દ્રના શ્રમ અને રોજગાર પ્રધાન સંતોષ ગંગવારે લોકસભામાં દેશમાં રોજગારની તકોમાં ઘટાડો થયો હોવાના આક્ષેપોને નકારી કાઢ્યા હતા.
ઓટોમોબાઈલ ક્ષેત્રે લાખો લોકોએ ગુમાવી નોકરી
બીજી બાજુ એ પણ હકીકત છે કે દેશમાં આર્થિક મંદીના કારણે છેલ્લા કેટલાક મહિનાઓમાં ઓટોમોબાઈલ ક્ષેત્રે બે લાખ કરતાં વધુ લોકોએ નોકરી ગુમાવવી પડી છે. ટેકસટાઇલ અને રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પણ નોકરીઓ ઓછી થઇ ગઈ છે. બીજી વિરોધાભાષી બાબત એ પણ છે કે આજે મોટા ભાગની વિદેશી અથવા ભારતીય કંપનીઓ કુશળતા પર મોટો ભાર મૂકે છે, પરંતુ હજી પણ કુશળ લોકોની વિશાળ અછત છે. છેલ્લા કેટલાંક વર્ષોમાં દેશમાં ગ્રેજયુએટ અથવા પોસ્ટ ગ્રેજ્યુએશન જેવી ડિગ્રી મેળવનારા યુવાનોની એક મોટી ફોજ તૈયાર થઇ છે.
લાખો લોકો બેકાર છે દેશમાં
પરંતુ મોટાભાગના લોકો પાસે કોઈ કુશળતા નથી કે જે તેમને કોઈ કામ અપાવી શકે. દેશમાં આવા લગભગ ૪૭ ટકા શિક્ષિત યુવાનો છે જે કોઈ પણ નોકરી માટે યોગ્ય નથી અથવા તો કંપનીઓ તેમને યોગ્ય માનતી નથી. એક બાજુ લાખો લોકો બેકાર છે જ્યારે બીજી બાજુ દેશમાં એવી ઘણી નોકરીઓ છે જેમાં યોગ્ય ઉમેદવારની કાયમ અછત રહે છે. શિક્ષિત યુવાઓને કુશળ બનાવવા માટે શરૂ કરવામાં આવેલી સ્કીલ ઈન્ડિયા યોજનાનો લાભ હજુ પણ મોટા પાયે પહોંચ્યો નથી.
કેન્દ્ર સરકારે મેક ઇન ઇન્ડિયાનો અપનાવ્યો કન્સેપ્ટ
રોજગારી આપવામાં મેન્યુફેકચરિંગ ક્ષેત્રનો સૌથી વધુ ફાળો હોય છે. તે બાબતને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે મેક ઇન ઇન્ડિયાનો કન્સેપ્ટ અપનાવ્યો છે. જેના કારણે અનેક મોટી કંપનીઓ તેમની પ્રોડકટસનું ઉત્પાદન કરવા ભારતમાં આવી છે. તેમ છતાં આપણે હજુ ચીનથી જોજનો પાછળ છીએ. આપણા દેશમાં મેન્યુફેકચરિંગ તુલનામાં સર્વિસ સેક્ટરનો વધુ વિકાસ થયો છે, જેમાં રોજગારનો અવકાશ ઓછો છે.
રોજગારી વધે તે માટે સરકારે શ્રમ પ્રધાન ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું પડશે. એવી નીતિ પણ બનાવવી પડશે કે જેથી ઉદ્યોગોને તેમાં વધુ મૂડીરોકાણ કરવાનું પ્રોત્સાહન મળે. પરંતુ આ ત્યારે જ શક્ય બનશે જ્યારે સરકાર રોજગાર વધારવાનું લક્ષ્ય પોતાના એજન્ડામાં ટોચ પર રાખીને તેના પર અમલ કરશે.