જીડીપી સહિત અન્ય આર્થિક આંકડાઓને લઇને વિપક્ષની ટીકા સહન કરી રહેલી મોદી સરકાર સામે એક નવી મુશ્કેલી ઉભી થઇ છે. સેન્ટર ફૉર મૉનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (CMIE)ના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે દેશમાં બેરોજગારીનો દર 3 વર્ષના સૌથી ઉચ્ચત્તમ સ્તર પર જોવા મળ્યો છે. દેશમાં Make in India જેવા માસ્ટર સ્ટ્રોક પ્રોજેક્ટ બાદ પણ રોજગારી ના વધતાં મોદી સરકાર મુશ્કેલીમાં મુકાય છે.
શું Make In India પ્રોજેક્ટ નિષ્ફળ છે?
દેશમાં Make in India પ્રોજેક્ટ હેઠળ યુવાનોને રોજગારીને લઈને નવી તક ઉભી કરવામાં આવશે તેવું જણવવામાં આવ્યું હતું. જો કે સરકાર દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે Make in India પ્રોજેક્ટ દ્વારા લાખો યુવાનોને રોજગારી મળી રહેશે જે હાલના સામે આવેલા આંકડાને જોતા તદ્દન નિષ્ફળ ગયો હોય તેવું લાગી રહ્યું છે. આ ઉપરાંત રોજગારીની અનેક યોજના હોવા છતાં છેલ્લા 3 વર્ષમાં બેરોજગારીનો સૌથી ઉંચો દર ચોંકાવનારો છે.
ઓગસ્ટમાં બેરોજગારીનો દર 8.4 ટકા રહ્યો
રિપોર્ટ મુજબ ઓગસ્ટમાં બેરોજગારીના દર 8.4 ટકા રહ્યો, જે છેલ્લા ત્રણ વર્ષનો સૌથી ઉંચો સ્તર છે. આ અગાઉ સપ્ટેમ્બર 2016માં બેરોજગારીનો આંકડો આ સ્તર પર પહોંચ્યો હતો. આ રિપોર્ટમાં ઓગસ્ટના અઠવાડિયાના બેરોજગારીના આંકડા પણ દર્શાવવામાં આવ્યાં છે. જેના મુજબ મહીનામાં દરેક અઠવાડિયામાં બેરોજગારીનો દર 8થી 9 ટકાની વચ્ચે રહી છે.
આ અગાઉ એક મહીના પહેલા જુલાઇમાં અઠવાડિક બેરોજગારી દર 7થી 8 ટકા વચ્ચે રહી હતી. જેના કારણે ઓગસ્ટ મહિનામાં દર અઠવાડિયે બેરોજગારી 1 ટકા સુધી વધી છે. રિપોર્ટમાં આગળ જણાવવામાં આવ્યું છે કે ઓગસ્ટ મહીનામાં શહેરનો બેરોજગારી દર 9.6 ટકા હતો જયારે ગ્રામીણ વિસ્તારનો બેરોજગારીનો આંકડો 7.8 ટકા પર પહોંચ્યો.
રોજગારીની શું છે સ્થિતિ...
ઓગસ્ટ 2019માં ગ્રામીણ વિસ્તારમાં દર વર્ષે રોજગારીમાં વધારો જોવા મળ્યો છે અને આ 2.9 ટકા રહ્યો, જ્યારે શહેરી વિસ્તારમાં 0.2 ટકાનો ઘટાડો નોંધાયો. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર શ્રમ ભાગીદારી દરમાં મામૂલી વધારો થયો છે.
આ મહીનામાં શ્રમ ભાગીદારીનો દર 43.35 ટકા પર છે જે ઓક્ટોબર 2018માં 42.46 ટકા પર હતો. રિપોર્ટ અનુસાર નોટબંધી અને GSTના ઝટકાથી બહાર આવવાના કારણે શ્રમ ભાગીદારીનો દર વધ્યો છે, પરંતુ આ રોજગારીના આંકડાઓ સાથે નથી મળતી. લોકો રોજગારીની શોધ કરી રહ્યાં છે પરંતુ તેમને નિરાશા મળી રહી છે જે ખતરાની ઘંટી છે.
આર્થિક મંદીના કારણે જઇ રહી છે નોકરી
ખરેખર તો દેશમાં આર્થિક મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. જેના કારણે લગભગ દરેક સેકટરમાં નોકરીમાંથી છુટા કરવામાં આવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે કેટલાંક મહીનામાં દેશના ઓટોમોબાઇલ સેકટરમાં બે લાખથી વધુ છટણી કરવામાં આવી છે. આ જ રીતે ટેક્સટાઇલ સેક્ટર, FMCG સેકટર અને રિયલ એસ્ટેટ સેકટમાં પણ નોકરી પર સંકટના વાદળો જોવા મળી રહ્યાં છે.