કોરોના વાયરસના સંકટને લઇને દેશમાં જારી લૉકડાઉનને લંબાવાયું છે પંરતુ હવે તેના કારણે રોજગાર પર ભારે ફટકો પડ્યો છે. એપ્રિલ મહીનામાં દેશમાં બેરોજગારીના દરમાં 14.8 ટકાનો વધારો થયો છે. દેશમાં બેરોજગારીનો દર હવે 23.5 ટકા સુધી પહોંચી ગયો છે. સેન્ટર ફોર મૉનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીના એક સર્વેમાં આ વાત સામે આવી છે.
કોરોના વાયરસના સંકટને લઇને દેશમાં જારી લૉકડાઉનને લંબાવાયું છે
દેશમાં બેરોજગારીનો દર વધીને 23.5 ટકા સુધી પહોંચી ગયો છે
માર્ચની તુલનામાં બેરોજગારીના દરમાં 200 ટકાનો વધારો થયો છે. આટલુ જ નહીં કેટલાક રાજ્યોમાં હાલત એટલી નાજુક છે કે દર બીજો માણસ બેરોજગારીની સ્થિતિમાં છે. તમિલનાડુમાં બેરોજગારીનો દર 49.8 ટકા છે, જ્યારે ઝારખંડમાં આ દર ઝડપથી વધતા 49.8 ટકા થયો છે. બિહારમાં આ આંકડો 46.6 ટકા છે.
જોકે પંજાબમાં બેરોજગારીનો દર માત્ર 2.9 ટકા જ છે, જ્યારે છત્તીસગઢમાં 3.4 ટકા છે. તેલંગાણામાં 6.2 ટકા છે. દક્ષિણ ભારતીય રાજ્યોની વાત કરીએ તો તમિલનાડુ રાજ્યની સ્થિતિ ખરાબ જોવા મળી છે. અહીં બેરોજગારીનો દર માર્ચ મહીનામાં 6.3 ટકા હતો. જે એપ્રિલમાં વધીને 49.8 ટકા થઇ ગયો. હવે જો ગત વર્ષે મે મહીનાની વાત કરવામાં આવે તો ત્યારે આ 0.9 ટકા જ હતો. આ રીતે જોવામાં આવે તો ગત એક વર્ષમાં તમિલનાડુમાં રોજગારના મામલામાં સ્થિતિ ઘણી ખરાબ થઇ ગઇ છે.
આટલું જ નહીં દેશમાં કોરોના વાયરસ મહામારીના પ્રસાર પર અંકુશ લગાવવા માટે લૉકડાઉનથી પહેલા માર્ચ મહીનામાં બેરોજગારી 43 મહીનાના ઉચ્ચ સ્તરે પહોંચી ગઇ હતી. માર્ચ મહીનામાં બેરોજગારી દર (અર્થવ્યવસ્થામાં બેરોજગાર લોકોનો ભાગ) 8.7 ટકા હતો. જે સપ્ટેમ્બર 2016 બાદથી સૌથી વધારે હતો. આ વર્ષે જાન્યુઆરીમાં બેરોજગારી દર 7.16 ટકા હતો.
દેશમાં કોરોના વાયરસના સંકટને લઇને 24 માર્ચથી જારી લૉકડાઉનને આજે સરકારે લંબાવ્યું છે. સરકારે આગામી 17 મે એટલે કે 2 સપ્તાહ માટે લૉકડાઉન લંબાવ્યું છે.