ઇન્ડોનેશિયાના બાલિ, લોમ્બોક અને પૂૂર્વ જાવામાં આજે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. આ વિસ્તારોમાં આવેલા ભૂકંપના કારણે કેટલાંય મકાનો અને પ્રાચીન મંદિરોને નુકસાન પહોંચ્યું છે. જોકે જિયો ફિઝિકસ એજન્સીનું કહેવું છે કે ભૂકંપથી સુનામી આવવાની કોઇ આશંકા નથી.
અમેરિકન ભૂગર્ભ સર્વેક્ષણના જણાવ્યા અનુસાર આ ભૂકંપની તીવ્રતા પ.૭ માપવામાં આવી હતી. આ ભૂકંપનું એપી સેન્ટર બાલીમાં ૯૧ કિ.મી.ની ઊંડાઇએ હતું. ભૂકંપના આંચકા આવ્યા બાદ બાલીની હોટલોને ખાલી કરાવવામાં આવી છે.
રાષ્ટ્રીય આપત્તિ એજન્સીએ ટ્વિટર પર ભૂકંપની તસવીરો શેર કરી છે. જેમાં બાલીમાં હિંદુ મંદિરો અને પૂર્વી જાવામાં મકાનોને નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળે છે. બાલીમાં દુનિયાના ખૂણે ખૂણેથી હજારો પ્રવાસીઓ આવે છે. પ્રવાસીઓને નુકસાન ન પહોંચે તે માટે અહીં હોટલો તકેદારીના પગલાંરૂપે ખાલી કરાવાઇ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ ઇન્ડોનેશિયાના પૂર્વ ભાગમાં આવેલ મલ્લુક ટાપુમાં રવિવારે ૭.૩ની તીવ્રતાના ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેમાં ઓછામાં ઓછા બે લોકોના મોત થયાં હતાં. અમેરિકન જિયોલોજી સર્વેના જણાવ્યા અનુસાર આ ભૂકંપ નોર્થ મલ્લુક પ્રાંતમાં સાંજે ૬-ર૮ મિનિટે આવ્યો હતો.
રવિવારે આવેલા આ ભૂકંપનું કેન્દ્ર નજીકના દિક્ષણી હલમા હેરામાં હતું. આ ભૂકંપમાં ૧૬૦ ઇમારતો ધરાશાયી થઇ ગઇ હતી. ભૂૂકંપને લઇને સેંકડો લોકોએ શાળાઓ, સરકારી ઇમારતો અને ઊંચાઇવાળા સ્થળોએ શરણું લીધું હતું. ઇન્ડોનેશિયાની હવામાન, કલાઇમેટ સાયન્સ અને જિયોફિઝિકસ એજન્સીએ જણાવ્યું હતું કે રવિવારે ભૂકંપ આવ્યા બાદ સોમવાર સવાર સુધી ભૂકંપના ઓછામાં ઓછા બાવન આંચકા અનુભવાયા હતા.