લોકસભા ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના રાજીનામાની અટકળો ચાલી રહી છે. ત્યારે હાલ કોંગ્રેસમાં મોટાપાયે ફેરફારની વાતો ચાલી રહી છે. પરંતુ હાલ કોંગ્રેસની સૌથી મોટી સમસ્યા અંદરો અંદરના ખટરાગની છે.
લોકસભા ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના રાજીનામાની અટકળો ચાલી રહી છે. ત્યારે કોંગ્રેસમાં અંદર અંદરના વિવાદોને કારણે કોંગ્રેસની મુશ્કેલી વધી રહી છે. અને હાલ કોંગ્રેસ સામે મોટો પડકાર છે આતંરિક કલેહને કેવી રીતે અટકાવવો. એક તરફ રાહુલ ગાંધી અધ્યક્ષ પદે રાજીનામું આપવા માગી રહ્યા છે. પરંતુ હાલ અનેક રાજ્યોમાં કોંગ્રેસના મોટા નેતાઓની બબાલ ચાલી રહી છે.
પંજાબથી લઇ કર્ણાટક સુધી પાર્ટીને આંતરિક સંઘર્ષનો સામનો કરવો પડી રહ્યો છે. એટલું જ નહીં સિનિયર નેતાઓને ચિંતા છે કે, જો રાહુલ ગાંધી પોતાનું રાજીનામું પાછું નહીં લે તો સ્થિતિ વધુ વિકટ થઇ શકે છે. દિગ્ગજ કોંગ્રેસ નેતા વીરપ્પા મોઇલીએ જાહેરમાં કહ્યું કે, પાર્ટીના સાથી નેતાઓનું કહેવું છે કે રાહુલ ગાંધીએ પોતાના રાજીનામાંની અનિશ્ચિતતાને લઇ સ્થિતિ ખત્મ કરવી જોઇએ. સિનિયર નેતાઓનું માનવું છે કે રાહુલ ગાંધીએ મજબૂતીથી અધ્યક્ષ પદ માટે કામ કરવું જોઇએ અને રાજ્ય યુનિટોમાં દખલ કરી પરસ્પર કંકાશ ખતમ કરવો જોઇએ.
લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને 52 સીટો જ મળી છે જે 2014ની સરખામણીમાં માત્ર 8 સીટ જ વધુ છે. પાર્ટીની આ કારમી હારના લીધે તેની રાજસ્થાન, હરિયાણા, મધ્યપ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્ર જેવા અગત્યના રાજ્યોના યુનિટોમાં સંઘર્ષની સ્થિતિ છે. હાલ સીધા મુકાબલામાં ચોક્કસ કોંગ્રેસ કરતાં ભાજપ મજબૂત દેખાય રહી છે પરંતુ હવે અંદારોઅંદરના સંઘર્ષે પાર્ટી માટે મુશ્કેલીઓ વધારી દીધી છે.
ઉલ્લેખનીય છે કે 17મી જૂનથી સંસદનું સત્ર પણ શરૂ થઇ રહ્યું છે અને કોંગ્રેસને તેની પહેલાં જ નક્કી કરવું પડશે કે લોકસભામાં પાર્ટીના નેતા તરીકે પ્રતિનિધિત્વ કોણ કરશે. કોંગ્રેસે પંજાબમાં 13માંથી 8 સીટો પ્રાપ્ત કરી છે. પરંતુ સિદ્ધુ અને અમરિન્દરસિંહનો વિવાદ જગજાહેર છે. આ પ્રકારના વિવાદ 7 રાજ્યોમાં છે જેને લઈને હાલ કોંગ્રેસ બે મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે.