ઉત્તર ભારતમાં પહાડોથી લઈને મેદાનો સુધી હાડ થીજાવનારી ઠંડી પડી રહી છે. લદ્દાખના દ્રાસમાં ઠંડીએ કહેર વરસાવ્યો. આ સાથે દિલ્હીમાં પણ લોકો ઠૂંઠવાયા હતા. જમ્મૂ-કશ્મીર અને હિમાચલમાં ભારે હિમવર્ષાના કારણે અનેક માર્ગો બંધ થયા તો અન્ય તરફ લાહૌલ સ્પીતિમાં માઈનસ 22 ડિગ્રી, કેલોંગમાં માઈનસ 15 ડિગ્રી તાપમાન જોવા મળ્યું. યૂપીમાં ઠંડીના કારણે 31 લોકોના મોત નીપજ્યા. હિમવર્ષનો લાભ પ્રવાસીઓએ વધારે પ્રમાણમાં લીધો હતો.
ઉત્તર ભારત થયું બર્ફિસ્તાન, હિમવર્ષાએ તોડ્યો રેકોર્ડ
પહાડોએ ઓઢી બરફની ચાદર, અનેકના મોત
જનજીવન થયું અસ્તવ્યસ્ત, હજારો માર્ગ થયા બંધ
દ્રાસમાં લઘુતમ તાપમાન -30.2 ડિગ્રી જ્યારે એન્ટાર્કટિકામાં લઘુત્તમ તાપમાન -26 ડિગ્રી નોંધાયું હતું. આ જ રીતે દિલ્હીના પાલમમાં પારો 5.4 ડિગ્રી નીચે ગયો હતો જ્યારે યુકેની રાજધાની લંડનમાં લઘુતમ તાપમાન 6 ડિગ્રી નોંધાયું હતું. અહીં મહત્તમ તાપમાન 11.8 ડિગ્રી હતું. દિલ્હીના સફદરજંગમાં પણ લઘુત્તમ તાપમાન 8.8 ડિગ્રી નોંધાયું હતું. મહત્તમ તાપમાન 13.4 ડિગ્રી નોંધાયું હતું.
Uttarakhand: Mountains around Kedarnath Temple covered in a sheet of snow, following heavy snow fall in the region (Earlier visuals) pic.twitter.com/NccCiVzZAb
દિલ્હી સહિત આખા ઉત્તર ભારતમાં ધુમ્મસ છવાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં પર્વતો પરથી ઠંડા પવનો આવવાના કારણે શિયાળો ચાલુ રહેશે અને ઠંડી વધશે. ગુરુવારે દિલ્હીમાં પાલમ સૌથી ઠંડું રહ્યું હતું, જ્યાં દિવસનું તાપમાન 11 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે દિવસનું તાપમાન અંબાલામાં આઠ, ચંદીગઢમાં 6.6, શ્રીગંગાનગરમાં 9, જમ્મુમાં 9.8 અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના બરેલીમાં 10.4 ડિગ્રી સેલ્સિયસ હતું.
કેદારનાથમાં ભારે હિમવર્ષા , મંદિર બરફમાં ઢંકાયું
ઉત્તરાખંડમાં થઈ રહેલી ભારે હિમવર્ષા વચ્ચે કેદારનાથના આહલાદક દ્રશ્ય સામે આવ્યા છે. કેદારનાથ ખીણમાં ચારેય તરફ બરફના થર જામી ગયા છે. કેદારનાથમાં મકાનોથી લઈને મંદિર પર બરફની ચાદર છવાઈ ગઈ છે. કેદારનાથમાં હિમવર્ષાના કારણે તાપમાનનો પારો માઈનસ 17 ડિગ્રીએ પહોંચ્યો છે. કેદારનાથ મંદિરના આકાશી દ્રશ્ય પણ સામે આવ્યા છે. જેમાં સમગ્ર કેદારનાથ બરફથી ઢંકાઈ ગયું છે. અહીં 8થી 10 ફૂટ સુધી બરફ જામી ગયો છે. કેદારનાથ મંદિરના શિયાળામાં છ મહિના સુધી કપાટ બંધ કરી દેવામાં આવે છે. જોકે અહીં કેદારનાથમાં આવેલા પૂર બાદ કેદારનાથની આસપાસ પ્રોટેક્શન વોલ અને અન્ય વિકાસના કાર્યો ચાલી રહ્યા છે. જેના કર્મચારીઓ જ અહીં હોય છે. પણ ભારે હિમવર્ષાના કારણે કેદારનાથમાં કામ કરતા કર્મચારીઓને પણ ત્યાંથી પરત બોલાવી લેવાયા છે.
ઠંડી અને ધુમ્મસનું પ્રમાણ વધશે, રાજસ્થાનમાં કોલ્ડવેવની આગાહી
હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક સુધી જાહેર કરાયેલી આગાહી મુજબ, પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તર મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં સતત ઠંડા દિવસની સ્થિતિને કારણે ઉત્તર પ્રદેશમાં ઠંડીનું વાતાવરણ અને ગાઢ ધુમ્મસ વર્તાશે. જ્યારે રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં કોલ્ડ વેવની સ્થિતિમાં વધારો થઈ શકે છે.
બુંદેલખંડ અને મધ્ય યુપીમાં ઠંડીને કારણે 31 લોકોનાં મોત નીપજ્યાં. કાનપુરમાં સૌથી વધુ 20 લોકોનાં મોત થયાં છે. વિશેષ વાત એ છે કે ગુરુવારે કાનપુરમાં 48 વર્ષ બાદ આટલી ઠંડી પડી છે. અહીં મહત્તમ તાપમાન 11.4 ડિગ્રી સેલ્સિયસ હતું.
રાજસ્થાનમાં ઠંડીનો પારો ગગડ્યો
રાજસ્થાન રાજ્યના ઘણા સ્થળોએ રાત્રિનું તાપમાન 1 થી 5 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. તાપમાનના આ ઘટાડા સાથે ગુરુવારે રાજસ્થાનના કેટલાક ભાગોમાં શીતલહેર પ્રસરી ગઈ છે. સીકર જિલ્લાના ફતેહપુર શહેરમાં રાત્રિનું તાપમાન માઈનસ -3 ડિગ્રી સેલ્સિયસ હતું, જે આ સિઝનમાં અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન છે. ગાઢ ધુમ્મસ સાથે ગ્રાઉન્ડ હિમ અને તીવ્ર ઠંડીની સ્થિતિએ ચુરુ, સીકર અને ઝુંઝુનુ જિલ્લાઓ અને શેખાવતી વિસ્તારના નજીકના વિસ્તારોમાં સામાન્ય જીવનને હલાવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સીકરમાં રાત્રિનું તાપમાન 0 ડિગ્રી જ્યારે પિલાનીમાં 0.5 ડિગ્રી સેલ્સિયસ હતું.
નવા વર્ષે ઉત્તરાખંડમાં થઈ શકે છે હિમવર્ષા
પ્રવાસીઓ માટે હવામાન વિભાગે એક સારી આગાહી કરી છે. નવા વર્ષની શરૂઆતમાં ઉત્તરાખંડ જનારા પ્રવાસીઓને હિમવર્ષાની મજા માણવા મળી શકે છે. આ દિવસોમાં અહીં હિમવર્ષાની શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે ચંડીગઢ, હરિયાણા, પંજાબ અને હિમાચલમાં અનેક જગ્યાઓએ આ વર્ષે ઠંડીએ પોતાનો રેકોર્ડ તોડ્યો છે. અહીં તાપમાન વધારે નીચું જોવા મળ્યું છે.