કોરોનાની મહામારી સામે લડી રહેલા દેશોમાં સંયુક્ત રાષ્ટ્રએ જાહેર કરેલી એક ચેતવણીના કારણે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. હજુ જ્યાં કોરોના વાઇરસને નાથવા માટેનો ઉકેલ નથી મળી રહ્યો ત્યાં હવે નવી સમસ્યા આકાર લઈ રહી હોવાના એંધાણ સંયુક્ત રાષ્ટ્રએ દુનિયાને આપ્યા છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટાનિયો ગુટારેસે કહ્યું છે કે હવે આતંકવાદીઓ તક જોઈને જૈવિક હથિયાર વડે હુમલો કરી શકે છે.
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવે વ્યક્ત કરેલી ચિંતા અને ચેતવણીના પગલે હવે જુદા જુદા દેશોએ પોતાની સીમાઓ પર સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવી દીધી છે. જૈવિક હથિયારનો ઉપયોગ કરીને દેશોને નુકસાન પહોંચાડી શકે એવી આ કોઈ પહેલી ઘટના નથી. ભૂતકાળમાં પણ જૈવિક હથિયારનો ઉપયોગ કરીને રાષ્ટ્રોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાના કેટલાંય ઉદાહરણો છે.
જૈવિક હુમલો છે શું?
ઘાતક જીવાણુ, વિષાણુ, કીટાણુ વગેરે જેવા એજન્ટોના માધ્યમથી ઘાતકી સંક્રમણો ફેલાવીને હુમલો કરવામાં આવે છે તો તેને જૈવિક હુમલો કહેવામાં આવે છે. સૈન્ય સંઘર્ષોમાં જૈવિક હથિયારોનો ઉપયોગ કરવો ગુનો માનવામાં આવ્યું છે. પરમાણુ અને રાસાયણિક હથિયારોની પેઠે જ જૈવિક હથિયારોને પણ જનસંહારક હથિયારોની શ્રેણીમાં મૂકવામાં આવ્યાં છે. આ હથિયાર અને હુમલાના માધ્યમથી હુમલાખોર કોઈ એક વ્યક્તિથી લઈને સમુચિત આબાદીને નિશાન બનાવી શકે છે.
જૈવિક હથિયાર કેવી રીતે ખતરનાક છે?
જૈવિક હુમલાની અસરો સામે આવવામાં સમય લાગે છે. તેથી તેને લઈને પૂર્વાનુમાન લગાવવું મુશ્કેલ છે. એટલું જ નહીં, આ પ્રકારના હુમલામાં સંક્રમણની અસર હેઠળ એ લોકો પણ આવી જતા હોય છે, જેઓ આતંકવાદીઓના નિશાના પર હોતા નથી. આ ઉપરાંત પ્રયોગશાળામાં શોધ દરમિયાન જો સહેજ નાની અમથી ભૂલ રહી ગઈ તો પણ જે શોધકર્તા હોય એ પણ સંક્રમણની અસર હેઠળ આવી જાય છે અને તેના પર પણ જીવન-મરણની તલવાર લટકતી રહે છે. પરિણામે અન્ય લોકોમાં પણ સંંક્રમણ ફેલાવવાનું જોખમ રહેવા લાગે છે.
જૈવ આતંકવાદ અને જૈવિક હથિયાર અન્ય હથિયારોની સરખામણીમાં સસ્તા છે. જૈવિક હથિયારોની ઓળખ કરવી મુશ્કેલ છે. ઉપયોગ કરવો સરળ છે અને ખૂબ ઓછા ખર્ચમાં તેનું ઉત્પાદન કરી શકાય છે. વ્યાપક સ્તરે તેની અસરમાંથી બહાર આવવામાં સમય લાગે છે અને તેથી જ તપાસ એજન્સીઓના સકંજામાંથી બચવામાં સરળતા રહે છે. આ ઉપરાંત વધુ ક્ષેત્રફળ ધરાવતા વિસ્તારમાં પણ મોટાપાયે તબાહી મચાવવાની ક્ષમતા રાખે છે. પરિણામે આતંકવાદી ગતિવિધિઓ માટે તેનો ઉપયોગ થવાનું મોટાપાયે જોખમ રહેલું છે. અન્ય પારંપરિક હથિયારોની સરખામણીમાં જૈવિક હથિયાર બનાવવામાં ૦.૦૫ ટકા ખર્ચ જ થાય છે. આ ઉપરાંત આ હથિયાર જુદી-જુદી સપાટી અને વ્યક્તિઓમાં ત્રણથી સાત દિવસ સુધી જીવિત રહી શકે છે અને અન્ય વ્યક્તિઓને પણ પોતાના શિકાર બનાવી શકે છે.
કેવી કેવી રીતે જૈવિક હુમલા થઇ શકે છે?
જૈવિક હુમલો ત્રણ પ્રકારે થઈ શકે છે. હુમલાખોર ખાવા-પીવાની ચીજો, કૃષિ ઉત્પાદનો અને જલસ્ત્રોતોમાં જૈવિક હથિયારની ભેળસેળ કરી શકે છે. બીજી શક્યતા છે કે હથિયાર પ્રણાલી જેવી કે પાઉડર બોમ્બ, કિટ બોમ્બ, સ્પ્રે વગેરેમાં સંક્રામક તત્ત્વો, ઝેરીલા પદાર્થો વગેરેનો ઉપયોગ કરવામાં આવે. વાઇરસનો ઉપયોગ કરીને સંક્રમિત વ્યક્તિ અથવા કપડાં કે પત્ર મોકલીને પણ વધુમાં વધુ લોકોને સંક્રમિત કરવાની શક્યતા રહેલી છે. ભૂતકાળમાં પણ જૈવિક હથિયારોનો ઉપયોગ કરીને વિનાશ વેરવામાં આવ્યો હોય એવી ઘણી ઘટનાઓનો સાક્ષી છે ઇતિહાસ.
જૈવિક હુમલાઓનો ઇતિહાસ
બારમી શતાબ્દીમાં હત્તી સાહિત્યમાં જૈવિક હુમલાનો ઉલ્લેખ જોવા મળે છે. તુલારેમિયા એટલે કે સંક્રમણને કારણે આવેલો તાવ અને ત્વચાના ઇન્ફેક્શનના શિકાર બનેલા દર્દીઓને દુશ્મન ઇલાકાઓમાં મોકલવામાં આવ્યા હતા, જેથી એ વિસ્તારોમાં મહામારી ફેલાઈ હતી. કેટલાક ઇતિહાસકારોએ ટ્રોયના યુદ્ધમાં જૈવિક ઝેરી પદાર્થો ધરાવતાં તીરોનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે. યુનાનમાં થયેલા પહેલાં ધર્મયુદ્ધમાં કિરહા પ્રદેશના જળસ્ત્રોતોમાં ઝેરી પાંદડાંઓના અંશ મળવાનો દાવો કરવામાં આવ્યો હતો.
૧૩૪૬માં કાફા(થિયોડેશિયા) પર કબજો કરવાની લડાઈમાં મંગોલ શાસકોએ પ્લેગથી મરનારા પોતાના જવાનોનો ઉપયોગ જૈવિક હથિયાર તરીકે કર્યો હતો. તેના કારણે દુશ્મન સેનામાં પણ મહામારી ફેલાઈ ગઈ હતી.
૧૭૧૦માં સ્વીડન સામેના યુદ્ધમાં રુસી સેનાએ રેવલ(તાલિન)માં પ્લેગથી મરનારા લોકોને મૃતદેહો ત્યાં જ છોડી દીધા હતા. ૧૭૮૫માં ટ્યુનિશિયાના સૈન્યએ લા કાલે પર કબજો કરવા માટે સંક્રમિત કપડાંનો સહારો લીધો હતો.
જૈવિક અને રાસાયણિક હુમલાઓની આ કથા પ્રાચીનથી અર્વાચીન સમય સુધી ચાલતી રહી છે. અનૈતિક અને અમાનવીય આ પ્રવૃત્તિ એટલી જ ખૌફનાક અને ભયાવહ છે. કોરોના વાઇરસના વૈશ્વિક સંક્રમણના આ સંકટકાળમાં પણ કેટલાક શેતાની દિમાગ માનવજાત પર આવો કુઠારાઘાત કરીને ઇન્સાની મોતનું તાંડવ ખેલવાના વિચાર કરી રહ્યા હોવાના સાવચેતીના સૂર રેલાયા છે ત્યારે નજીકના ભૂતકાળમાં આવા પૂર્વ ષડયંત્રો કેવી રીતે આકાર લેતાં હતાં અને આજના સમયમાં તેના સૂચિતાર્થો શું હોઈ શકે તેના દીર્ઘ આલેખની પ્રથમ કડી અત્રે પ્રસ્તુત છે.