ભારતમાં થઇ રહેલ ખેડૂત પ્રદર્શનને લઈને હવે વિદેશથી સતત નિવેદનો વધી રહ્યા છે, પહેલા કેનેડા પછી બ્રિટન અને હવે સંયુક્ત રાષ્ટ્રમાં પણ ખેડૂત આંદોલનની ચર્ચા થઇ રહી છે.
UN સુધી પહોંચ્યો ખેડૂતોનો મુદ્દો
UN મહાસચિવના પ્રવક્તાએ કહ્યું : શાંતિથી થતાં પ્રદર્શનને રોકવું નહીં
આ પહેલા કેનેડાના પીએમ અને બ્રિટનના કેટલાય સાંસદોએ આ મુદ્દે આપ્યા છે નિવેદન
UN મહાસચિવના પ્રવક્તાએ આપ્યું નિવેદન
ભારતમાં થઇ રહેલા ખેડૂતોના વિરોધ પર કેનેડાને ભારતે ચેતવણી આપી છે કે આંતરિક મામલાઓમાં કોઈ પણ હસ્તક્ષેપ સાંખી લેવાશે નહીં, બીજી તરફ બ્રિટનનાં સાંસદોએ સરકારને માંગ કરી છે કે તે આ મુદ્દા પર હસ્તક્ષેપ કરે. એવામાં હવે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવના પ્રવક્તાએ કહ્યું છે કે ખેડૂતોને શાંતિ પ્રદર્શનનો અધિકાર છે અને તેમને કરવા દેવામાં આવે.
'શાંતિપૂર્ણ પ્રદર્શનનો અધિકાર'
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવના પ્રવક્તા સ્ટેફને ડુજારિકે કહ્યું કે હું કહેવા માંગુ છું કે લોકોને શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાનો અધિકાર છે અને ઓથોરીટી તેમને આવું કરવા દે. નોંધનીય છે કે તેમને ભારતને લગતો સવાલ કરવામાં આવ્યો હતો જે બાદ આ નિવેદન સામે આવ્યું છે.
ભારતના વિદેશ મંત્રાલય દ્વારા હાલમાં જ કહેવામાં આવ્યું છે કે ખેડૂતોના મુદ્દા પર કોઈ પણ વિદેશી નેતા ગેરજરૂરી નિવેદન આપે નહીં. લોકતાંત્રિક દેશના આંતરિક મામલામાં કોઈએ હસ્તક્ષેપ કરવો નહીં. કેનેડાનાં સતત નિવેદનો બાદ હવે ભારતે કાર્યવાહી પણ શરુ કરી દીધી છે, કેનેડાની આગેવાનીમાં કોરોના મામલે થનાર બેઠકનો ભારતે બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે.
બ્રિટનમાં પણ ઉઠ્યો અવાજ
નોંધનીય છે કે બ્રિટનના કેટલાક સાંસદોએ પોતાની સરકારને આ મુદ્દા પર પીએમ મોદી સાથે ચર્ચા કરવા કહ્યું છે. બ્રિટનમાં ભારતીય મૂળનાં અને પંજાબથી સંબંધ રાખનાર 36 સાંસદોએ કૃષિ કાયદાઓને લઈને પીએમ મોદી સાથે આ જ મુદ્દાને ઉઠાવવા માંગ કરી છે.
કેનેડાને ભારતે લગાવી ફટકાર
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર કેનેડાની આગેવાનીમાં કોરોના મામલે થનારી બેઠકમાં હવે સામેલ થશે નહીં. ભારત તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે કે ખેડૂતો મુદ્દે કેનેડાનાં વલણને જોતા હવે બેઠકમાં ભારત સામેલ થશે નહી. કેનેડાની આગેવાનીમાં આગામી સાતમી ડિસેમ્બરે બેઠક થવાની હતી જેમાં હવે ભારતનાં વિદેશમંત્રી ભાગ લેશે નહીં. દિલ્હીમાં ખેડૂતો દ્વારા કરવામાં આવી રહેલા વિરોધ પર કેનેડાના પીએમ દ્વારા કરવામાં આવેલ નિવેદનબાજી પર ભારતે કડક ચેતવણી આપી છે. વિદેશ મંત્રાલયે શુક્રવારે કેનેડાના હાઈકમિશ્નરને બોલાવ્યા અને આંતરિક મુદ્દાઓથી દૂર રહેવા માટે ચેતવણી આપી અને કહ્યું કે જો આવું ચાલુ રહેશે તો બંને દેશોના સંબંધો ખૂબ ખરાબ થઇ જશે. વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું કે આજે વિદેશ મંત્રાલય તરફથી કેનેડાના હાઈ કમિશ્નરને સમન કરવામાં આવ્યા અને કહેવામાં આવ્યું છે કે કેનેડાના પીએમ અને કેટલાક મંત્રીઓ તથા સાંસદો ભારતીય ખેડૂતો મુદ્દે નિવેદનબાજી કરી રહ્યા છે ત્યારે અમારા આંતરિક મુદ્દાઓ નિવેદનબાજી અસ્વીકાર્ય છે.