મા ઉમિયાનું ધામ ગણાતા ઊંઝા ખાતે આજથી ભવ્યાતિ ભવ્ય લક્ષચંડી મહાયજ્ઞનો પ્રારંભ થયો હતો. 18 થી 22 ડિસેમ્બર સુધી આ ભવ્ય લક્ષચંડી યજ્ઞ યોજાનાર છે. જેમાં આશરે 50 લાખ જેટલા શ્રધ્ધાળુઓ ઉમટી પડવાની સંભાવના છે.
ઊંઝા ખાતે ભવ્ય લક્ષચંડી મહાયજ્ઞનો પ્રારંભ
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરાવ્યો શુભારંભ
800 વિઘા જમીન તૈયાર કરાયું ઉમિયાનગર
જો કે આ ઉત્સવ શરૂ થાય તે પહેલા જ હજારો માઈ ભક્તો પગપાળા ચાલીને મા ના દર્શને આવી પહોંચ્યા છે. નોંધનીય છે આ ઉત્સવનો વિધિવત રીતે પ્રારંભ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં થયો હતો.
800 વિઘા જમીન તૈયાર કરાયું ઉમિયાનગર
ઊંઝા ખાતે યોજાઈ રહેલા લક્ષચંડી મહાયજ્ઞને લઈને 800 વિઘા જમીન ઉપર ઉમિયાનગર તૈયાર કરવામાં આવ્યું છે. આ ઉમિયાનગર ખાતે 50 લાખ લોકો આવવાની ધારણા કરવામાં આવી છે. ત્યારે તમામ મોબાઈલ કંપનીઓએ લોકોના ધસારા દરમિયાન મોબાઈલ હેંગ ન થાય તે માટે ઉમિયાનગરી ખાતે વધારાના મોબાઈલ ટાવર કાર્યરત કર્યા છે.
350 વિઘા જમીન ઉપર વિશાળ પાર્કિંગ
તમામ મોબાઈલ કંપનીઓ દ્વારા પોતાના ગ્રાહકો મોબાઈલ નેટવર્ક મળી રહે તે માટે ખાસ વ્યવસ્થા ઉભી કરી છે. તો આ તરફ શ્રદ્ધાળુઓ પોતાના વાહન યોગ્ય સ્થળે પાર્ક થઈ શકે છે. તે માટે 350 વિઘા જમીન ઉપર વિશાળ પાર્કિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે.
લાઇટો બની આકર્ષણનું કેન્દ્ર
તો VIP અને VVIP માટે અલગ પાર્કિંગ વ્યવસ્થા રાખવામાં આવી છે. આ સાથે એક મોબાઈલ એપ પણ તૈયાર કરવામાં આવી છે. તો આ તરફ યજ્ઞમાં અંબાજી જેવો 35 ફૂટની ઉંચાઇ અને 100 ફૂટ પહોળો ગબ્બર ગોખ 2 હજાર વાંસથી તૈયાર કરવામાં આવ્યો છે. તેની ફરતે ખાસ પ્રકારની લાઇટો આકર્ષણ માટે લગાવાઇ છે. માતાજીના ગબ્બરની ફરતે ચાર દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
23 વિઘા જમીન ઉપર તૈયાર કરાઇ બાળનગરી
ઉમિયા નગરીની મુલાકાતે આવનારા બાળકો આનંદ કરી શકે તે માટે ખાસ મનોરંજનની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે ઉમિયાનગર ખાતે 23 વિઘા જમીન ઉપર બાળનગરી તૈયાર કરવામાં આવી છે. જેમાં બાળકો માટે વિવિધ રાઈડ્સ અને અનેક આયોજનો કરવામાં આવ્યા છે. તેમજ બાળકોને જ્ઞાન સાથે ગમ્મત મળે તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
3 હજાર જેટલા સ્વયંસેવક આપશે સેવા
જો માત્ર ભોજનની જ વાત કરીએ તો 100 કારોબારી સમિતિ, 3 હજાર જેટલા સ્વયંસેવક, અને ઊંઝાના 250 રાજપુરોહિત મળીને 4 વિઘા જમીનમાં 50 જેટલા ચુલા પર લાડુ, દાળ, ભાત, શાકનું ભોજન બનાવશે. દર્શનાર્થીઓને સવારે 10 થી બપોરના 3 સુધી એક વખતનું ભોજન પીરસવામાં આવશે. આ વર્ષે ભક્તોમાં 15% નો વધારો થવાની સંભાવના છે. માટે રાત્રે 10 વાગ્યાથી રસોઈ કામ હાથ ધરાશે જેથી સવારે 10 થી બપોરે 3 વાગ્યા સુધી દર્શનાર્થીઓને એક ટાઈમ ભોજન પીરસાશે.
25 હજાર મણ ખાંડના લાડુ બનાવાયા
અંદાજિત 25 હજાર મણ ખાંડના લાડુ ભક્તોને પીરસાશે, આ રસોઈમાં શુદ્ધ ઘીના 3500 ડબ્બા, શુદ્ધ તેલના 2500 ડબ્બા, ચોખા 70 હજાર કિલો, દાળ 35 હજાર કિલો, શાક 60 હજાર કિલો, કઠોળ 35 હજાર કિલો અને બળતણમાં 12 હજાર મણ લાકડું વપરાશે. મહોત્સવ માટે હેલ્પલાઇન નંબર પણ લોન્ચ કરાયો છે. ઉપરાંત 7 લાખ ચોરસ મીટર 305 વીઘામાં વાહન પાર્કિંગ વ્યવસ્થા કરાઇ છે.એમ્બ્યુલન્સ,ફાયર બ્રિગેડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.