પાટીદાર સમાજ માટે અનામતની માગ લઈ નીકળેલો અને તથા ક્યારેય રાજકારણમાં નહીં આવવાનું કહેનારો હાર્દિક પટેલ આખરે વિધિવત રીતે કોંગ્રેસમાં સામિલ થઈ ગયો. સમાજના મુદ્દા ભૂલી હાર્દિકે આખરે પોતાનો રાજકીય રોટલો શેકી લીધો. કોંગ્રેસની CWCની બેઠક દરમિયાન હાર્દિકે કોંગ્રેસની સદસ્યતા ગ્રહણ કરી લીધી, પરંતુ હાર્દિકના કોંગ્રેસમાં સામેલ થવાને કારણે પાટીદાર સમાજમાં વિરોધ જોવા મળ્યો. તો હાર્દિક સાથે અન્ય પણ પાટીદાર નેતાઓ કે જેઓ બહુ મોટી મોટી વાતો કરતા હતા તે આજે રાજકીય રંગે રંગાઈ ગયા છે અને સમાજનો ઉપયોગ કરી આ લોકોએ પોતાનું નામ કમાઈ લીધું છે જોઈએ આ અહેવાલ.
પાટીદાર અનામત આંદોલનનો નેતા હાર્દિક પટેલ આખરે કોંગ્રેસનો નેતા બની જ ગયો. CWC બેઠક દરમિયાન કોંગ્રેસમાં વિધિવત રીતે સામિલ થઈ ગયો. આમ હાર્દિક પટેલે પાટીદાર સમાજ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં જોડાઈ જતાં સમાજના બદલે હવે તે 6 કરોડ ગુજરાતીઓના નામે રાજકારણ શરૂ કરશે. હાર્દિકે પોતાના સંબોધનમાં કહ્યું કે, 3 વર્ષ પહેલા સમાજ, યુવાન અને ખેડૂતોના હિત માટે લડાઈ શરૂ કરી હતી અને હવે ગુજરાતના 6 કરોડ લોકોની સેવા કરવા માટે કોંગ્રેસમાં જોડાયો છું. રાહુલ ગાંધીના વખાણ કરતા હાર્દિકે કહ્યું કે, રાહુલ ગાંધી તાનાશાહીની રાજનીતિમાં નથી માનતા. કોંગ્રેસ સાથે મળીને દેશને વધુ મજબુત બનાવીશું અને પક્ષ નક્કી કરશે ત્યાંથી ચૂંટણી લડીશ.
તો હાર્દિકના કોંગ્રેસમાં સામિલ થવા પર પાટીદાર સમાજમાં તેનો વિરોધ જોવા મળ્યો અનેક લોકોએ હાર્દિકના આ નિર્ણયની ખોટો ઠેરવ્યો. અનામત આંદોલન સમયે હાર્દિક સાથે એક જ મંચ પર જોવા મળતા SPG અધ્યક્ષ લાલજી પટેલે હાર્દિક પર આકરા પ્રહાર કર્યા. લાલજી પટેલે જણાવ્યું કે પાટીદારોએ હાર્દિકને સમાજની વિવિધ માગણીઓને લઈ હીરો બનાવ્યો હતો, પરંતુ હાર્દિકે સમાજ સાથે દ્રોહ કર્યો. સમાજની સલાહ સુચન લીધા વીના તેણે કોંગ્રેસ પાર્ટી જોઈન કરી લીધી છે. હવે હાર્દિકમાં તાકાત હોય તો 5 હજાર પાટીદાર ભેગા કરી બતાવે. હાર્દિક જ્યાં ચૂંટણી લડશે ત્યાં પાટીદારો તેનો વિરોધ કરશે. હાર્દિકે પાટીદારોના વિરોધનો ભરપુર સામનો કરવો પડશે.
બીજી તરફ હાર્દિક એકલો એવો આંદોલનકારી નથી કે, જે રાજકારણમાં આવ્યો છે. પાટીદાર સમાજને અનામત અપાવવા માટે નીકળેલા અનેક પાટીદાર આંદોલનકારીઓ નેતા બની ગયા છે. પાટીદારો સાથે વિદ્રોહ કરી પાસના ક્ન્વીનરોનું ભાજપ-કોંગ્રેસમાં વિલિનિકરણ થઈ ગયું છે. રાજકારણમાં નહીં આવવાનું કહેનારા હાર્દિક પટેલે મોટા ઉપાડે કોંગ્રેસનો ખેસ પહેરી લીધો, પરંતુ હાર્દિક સિવાયના પણ પાસના નેતાઓએ રાજકારણમાં એન્ટ્રી મારી દીધી છે. અમે સમાજ માટે છીએ અને સમાજનાં જ રહીશું કહેનારા આંદોલનકારી પાટીદાર નેતાઓ સમય આવ્યે રાજકીય પાર્ટીઓમાં સામેલ થઈ ગયા. સરકારને બે ફામ ગાળો આપનારા પાસની મુળ કોર કમિટીના સભ્યોમાં 4 ભાજપમાં અને ત્રણ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. પાસના નેતાઓ હવે પાટીદાર સમાજને પગથિયા બનાવી હવે પોતાના અંગત સ્વાર્થ ખાતર રાજકીય કેરિયર બનાવવા નીકળી ગયા છે.
તો પાસના કયા નેતાઓ રાજકીય રંગે રંગાઈ ગયા અને કઈ પાર્ટીમાં સામિલ થઈ ગયા. તેને જોઈએ તો હાર્દિક પટેલ કોંગ્રેસ, વરૂણ પટેલ ભાજપ, લલિત વસોયા કોંગ્રેસ, કિરીટ પટેલ કોંગ્રેસ, ચિરાગ પટેલ ભાજપ, અમરીશ પટેલ ભાજપ, કેતન પટેલ ભાજપ, અતુલ પટેલ કોંગ્રેસ અને રેશ્મા પટેલ ભાજપ. જો કે રેશમા ભાજપમાં સામિલ થયા બાદ હાલ ભાજપનો વિરોધ કરતા જોવા મળી રહ્યા છે.
હાર્દિક અને રેશ્માએ તો લોકસભા ચૂંટણી લડવાની પણ જાહેરાત કરી દીધી છે. હાર્દિક પટેલે જામનગરથી અને રેશમા પટેલે NCPમાંથી પોરબંદર લોકસભા બેઠક લડવાની જાહેરાત કરી છે. તેથી હવે આ બધા પાટીદાર આંદોલનકારીઓ હવે સમાજના હિત માટે નહીં પણ પોતાના હિત માટે લડી રહ્યા છે અને હવે તેઓ આંદોલનકારી નહીં પણ નેતાઓ બની ગયા છે. આ બધા જ નેતાઓ હવે સમાજના નથી રહ્યા રાજકીય પાર્ટીઓના થઈ ગયા છે.