રશિયા-યુક્રેન યુદ્ધનો આજે 11મો દિવસ છે. ત્યારે રશિયાએ મારિયુપોલ અને વોલ્નોવાખામાંથી લોકોને બહાર નીકાળવા માટે લાગુ કરવામાં આવેલ યુદ્ધવિરામનો ભંગ કર્યો છે.
રશિયા-યુક્રેન યુદ્ધનો આજે 11મો દિવસ
રશિયાએ સીઝફાયર બાદ યુદ્ધવિરામનો ભંગ કર્યો
રશિયામાં હવે Visa અને Mastercard ઉપયોગમાં નહીં લેવાય
રશિયાએ સીઝફાયર બાદ રશિયાએ મારિયુપોલ પર બોમ્બમારો કર્યો છે. ત્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ પણ કહ્યું કે, 'અમે હાર નહીં માનીએ.' યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેન્સ્કીએ શનિવારના US સેનેટરોને રશિયાના આક્રમણ સામે લડવામાં દેશને મદદ કરવા વધુ વિમાનો મોકલવા વિનંતી કરી છે. આ સાથે યુક્રેનના મારિયુપોલ અને વોલ્નોવાખામાંથી લોકોને બહાર નીકાળવા માટે લાગુ કરવામાં આવેલ યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવ્યો છે. યુક્રેની મીડિયા અનુસાર, રશિયન સૈન્યએ મારીયુપોલમાં યુદ્ધવિરામનો ભંગ કર્યો છે, ત્યાર બાદ સુરક્ષાના કારણોસર માનવતાવાદી કોરિડોરમાંથી નાગરિકોને બહાર નીકાળવાની પ્રક્રિયા પણ અટકાવી દેવામાં આવી છે. તો બીજી તરફ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ચેતવણી આપી છે કે, મોસ્કો યુક્રેન પર નો-ફ્લાય ઝોનની કોઈ પણ તૃતીય પક્ષની ઘોષણા આ લડાઈમાં સહભાગી તરીકે ગણવામાં આવશે. દરમિયાન, યુએસ અને યુકેએ એક ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી છે અને તેના નાગરિકોને રશિયા છોડવા માટે કહેવામાં આવ્યું છે.
રશિયા-યુક્રેન વચ્ચે આવતી કાલે થશે ત્રીજા રાઉન્ડની વાતચીત
યુક્રેન-રશિયા યુદ્ધ વચ્ચે બંને દેશો વચ્ચે સતત વાતચીતનો રાઉન્ડ ચાલી રહ્યો છે. ત્યારે બંને દેશો વચ્ચે અત્યાર સુધીમાં બે રાઉન્ડની વાતચીત થઈ ચૂકી છે. પરંતુ હવે રશિયા-યુક્રેન ફરી વાર ત્રીજા તબક્કાની વાતચીત માટે આવતી કાલે ભેગાં થશે. જો કે, આ પહેલાં થયેલી બંને મંત્રણામાં કોઈ જ પરિણામ આવ્યું ન હતું. આવી સ્થિતિમાં હવે એક વાર ફરી બંને દેશો યુદ્ધને લઇને વાતચીત કરશે.
હવે રશિયામાં Visa અને Mastercard ઉપયોગમાં નહીં લેવાય
આંતરરાષ્ટ્રીય સ્તરે રશિયાને અલગ કરવાના પ્રયાસો વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીની અપીલ પર વિઝા (Visa), માસ્ટરકાર્ડ (Mastercard) એ રશિયામાં તમામ વ્યવહારો બંધ કરવાનો નિર્ણય લીધો છે.
શહેરના મેયરનો દાવો છે કે રશિયન સેનાએ યુક્રેનના મારિયોપોલમાં તોપમારો વધુ તીવ્ર બનાવ્યો
યુક્રેનિયન શહેર મારિયોપોલના મેયર વાદિમ બોયચેન્કોએ શનિવારે રાત્રે દાવો કર્યો હતો કે, રશિયન દળોએ તેમના શહેરમાં હવાઇજહાજ દ્વારા ભારે તોપમારો કર્યો હતો. રશિયન સેનાની ઘેરાબંધીથી બંદર શહેરની હાલત ભારે કફોડી થઇ ગઇ છે. રહેણાંક વિસ્તારો પર સતત તોપમારો થઈ રહ્યો છે અને રહેણાંક વિસ્તારો પર વિમાનો બોમ્બ ફેંકવામાં આવી રહ્યાં છે.
યુક્રેનની સરકારે એવો દાવો કર્યો છે કે, રશિયાએ 10 જ દિવસના સંઘર્ષમાં તેનાં 10,000 સૈન્ય કર્મચારીઓ ગુમાવ્યા છે. આ સિવાય યુક્રેને 269 ટેન્ક, 945 બખ્તરબંધ લડાયક વાહનો અને 45 મલ્ટી-રોકેટ લોન્ચ સિસ્ટમને પણ નષ્ટ કરી છે, જેમાં રશિયન સેનાના 79 ફાઈટર જેટ અને હેલિકોપ્ટરનો પણ સમાવેશ થાય છે. યુક્રેનનું કહેવું છે કે, રશિયા આ યુદ્ધ હારી ચૂક્યું છે.