આગામી 21 એપ્રિલના રોજ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન ગુજરાતની મુલાકાત લે તેવી શક્યતા સેવાઇ રહી છે.
21 એપ્રિલે બોરિસ જોન્સન આવી શકે છે ગુજરાતની મુલાકાતે
અમદાવાદ અને વડોદરાની મુલાકાત લે તેવી સંભાવના
20 થી 24 એપ્રિલ સુધી બોરિસ જોનસન ભારતના પ્રવાસે
બ્રિટનના PM બોરિસ જોનસન એક વાર ફરી 21 એપ્રિલના રોજ ગુજરાતની મુલાકાતે આવશે. 20થી 24 એપ્રિલ સુધી બોરિસ જોનસન ભારતના પ્રવાસે છે. તેઓ ગુજરાતમાં અમદાવાદ અને વડોદરા શહેરની મુલાકાત લે તેવી શક્યતા સેવાઇ રહી છે. અમદાવાદમાં સાબરમતી આશ્રમની મુલાકાત લે તેવી સંભાવના તો વડોદરા નજીક નવી મેન્યુફેક્ચરીંગ ફેસીલીટીની મુલાકાત લઇ શકે છે.
તમને જણાવી દઇએ કે, ભારતના 72માં ગણતંત્ર દિવસ પર મુખ્ય અતિથિ તરીકે બોરિસ જોનસનને આમંત્રિત કરવામાં આવ્યા હતાં પરંતુ બ્રિટનમાં કોરોના વાયરસના વધતા જતા કેસોને જોતા તેઓએ પોતાની યાત્રા રદ કરી હતી.
બોરિસે ભારત આવવાનો કર્યો હતો વાયદો
તમને જણાવી દઈએ કે, ભારતને ગણતંત્ર દિવસ પર શુભેચ્છા પાઠવતા બોરિસ જોનસને કહ્યું હતું કે, “હું આ વર્ષે ભારત આવવાની રાહ જોઈ રહ્યો છું, જેથી અમે અમારી મિત્રતા મજબૂત કરી શકીએ, સંબંધોને આગળ લઈ જઈ શકીએ, જેનો વડાપ્રધાન મોદી અને મે સંકલ્પ કર્યો હતો." તેઓએ કહ્યું હતું કે, "હું મારા મિત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિનંતી પર આ ખાસ પ્રસંગનો સાક્ષી બનવા માટે ઉત્સાહિત હતો, પરંતુ કોવિડ -19 ના કારણે ઊભી થયેલી સમસ્યાઓના કારણે મારે લંડનમાં રહેવું પડ્યું."
તેઓએ કહ્યું હતું કે, "બંને દેશો સાથે મળીને રસી વિકસિત કરવા, તેનું ઉત્પાદન કરવા તેમજ વિતરણ કરવા માટે સાથે મળીને કામ કરી રહ્યાં છીએ, જે માનવીને વૈશ્વિક મહામારીથી મુક્ત કરવામાં મદદ કરશે." બ્રિટન, ભારત અને અન્ય ઘણા દેશોના સંયુક્ત પ્રયાસોના કારણે અમે કોરોના સામે વિજય નોંધાવવા તરફ આગળ વધી રહ્યાં છીએ. ઉલ્લેખનીય છે કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન નવેમ્બર મહિનામાં ગ્લાસગોમાં સંયુક્ત રાષ્ટ્ર કલાયમેટ ચેન્જ કોન્ફરન્સમાં મળ્યા હતાં.