મધ્યપ્રદેશના ઉજ્જેનમાં બનેલી અત્યાર સુધીની સૌથી મોટી એક ચોંકાવનારી ઘટનાથી દેશ આખાનું માથું શરમથી ઝૂકી ગયું છે.
મધ્યપ્રદેશના ઉજ્જેનની અત્યંત ચોંકાવનારી ઘટના
પત્નીથી બાળક ન થતા પતિએ ખરીદી છોકરી
16 મહિના સુધી છોકરી પર કર્યું દુષ્કર્મ
બાળક આવતા ઘરમાંથી કાઢી મૂકી
શેર માટીની ખોટ પૂરી કરવા માટે લોકો જાતજાતની બાધા-માનતાઓ રાખતા હોય છે તો બીજુ બાજુ એવા પણ કેટલાક લોકો છે જેઓ બાળક પેદા કરવા માટે છેલ્લી પાટલીએ બેસી જતા હોય છે અને ભયાનક ગુનાને અંજામ આપતા હોય છે. મધ્યપ્રદેશના ઉજ્જેનમાં બનેલી આવી એક ઘટનાએ દેશનું માથુ શરમથી ઝુકાવી દીધું છે. ઉજ્જેનના તરાના તહસીલના કઠબરોડાના ઉપસરપંચ રાજપાલસિંહ દરબારની પત્નીને સંતાન થતું નહોતું. આ પછી રાજપાલસિંહે 16 વર્ષની છોકરીને નાગપુરમાંથી ખરીદી હતી. તેણે તેને ૧૬ મહિના સુધી ઘરમાં રાખી હતી. તેણે તેના પર બળાત્કાર ગુજાર્યો અને એક બાળક પેદા કર્યું. બાળકને મળતા જ યુવતીને ઘરની બહાર ફેંકી દેવામાં આવી હતી.
પોલીસને 19 વર્ષની યુવતી લાવારિ હાલતમાં મળી ત્યારે આ કેસનો ખુલાસો થયો હતો. પીડિતાની વાત સાંભળીને પોલીસ સ્તબ્ધ રહી ગઈ હતી. પોલીસે આ કેસમાં રાજપાલ સિંહ દરબારની સાથે તેની પત્ની, વિરેન્દ્ર સિંહ, કૃષ્ણપાલ સહિત એક મહિલાને આ કેસમાં આરોપી બનાવી છે.
ગર્ભવતી દેખાવા માટે પત્ની પેટ પર ઓશિકું બાંધી રાખતી હતી
રાજપાલ જ્યારથી નાગપુરથી છોકરીને ખરીદી લાવ્યો હતો ત્યારથી તેની પત્ની ગર્ભવતી દેખાવા માટે પેટ પર ઓશિકું બાંધી રાખતી હતી. આરોપી રાજપાલે સતત 16 મહિના સુધી તેને ઘરમાં ગોંધી રાખી હતી અને અવારનવાર દુષ્કર્મ કરતો રહ્યો હતો ત્યાર બાદ તેને ગર્ભવતી બનાવી હતી અને દેવાસની હોસ્પિટલમાં પીડિતાએ બાળકને જન્મ આપ્યો હતો. બાળકનું આગમન થતા આરોપીએ માનવતા નેવે મૂકીને પીડિતાને ઘરની બહાર કાઢી મૂકી હતી.
પત્નીનું નસબંધી ઓપરેશન થયું હતું
આરોપીને પહેલા બાળક હતું ત્યાર બાદ તેની પત્નીએ નસબંધી કરાવી લીધી હતી પરંતુ બાળકનું મોત થતા તેમને બીજું બાળક જોઈતું હતું આથી રાજપાલ છોકરી ખરીદી હતી અને તેની પર દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી હતી.