ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિના નેજા હેઠળ જીઇબી એન્જીનીયર્સ એસોસિયેશન અને અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા જેટકો મેનેજમેન્ટને લાંબા સમયથી પડતર પ્રશ્નોને લઇને હડતાળની અંતિમ આંદોલનની નોટિસ પાઠવવામાં આવી હતી. પણ આજ સુધી કોઈપણ પ્રકારની હકારાત્મક કાર્યવાહી નહીં થતાં હવે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
1 સપ્ટેમ્બરે માસ સીએલ પર ઉતરવાની ચીમકી
UGVCL અને જેટકોના કર્મચારીઓએ પડતર પ્રશ્નોને લઇને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. આ ચીમકી વિદ્યુત કામદાર સંઘ અને GEB એન્જિ.એસોસિએશન દ્વારા ઉચ્ચારવામાં આવી છે. જેમાં 1 સપ્ટેમ્બર સુધી પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં થવા પર તમામ સ્ટાફે માસ સીએલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે. આ આંદોલનમાં 11 હજાર કર્મચારીઓ જોડાશે.
શું છે UGVCL અને જેટકોના કર્મચારીઓની માંગ
વીજ કર્મચારીઓએ મોંઘવારી ભથ્થા અને એલાઉન્સ ફોર્મેટમાં સુધારા સહિતની માગ કરી છે. સાતમા પગાર પંચમાં નક્કી કરાયેલા પગાર તથા એરિયર્સ સહિતની વિવિધ માંગો પુરી ન થતા રોષે ભરાયા છે. આ મામલે વીજકર્મીઓએ ઊર્જા અને નાણાંમંત્રીને પણ રજૂઆત કરી છે. આમ છતાં પ્રશ્નનું નિકારણ થયું નથી. જેથી વીજ કર્મચારીઓએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ પડતર પ્રશ્નોને લઇને રાજ્યવ્યાપી આંદોલન, માસ સીએલ તથા કાળી પટ્ટી પહેરીને વિરોધ નોંધાવી ચૂક્યા છે તેમ છતાં આજ દિન સુધી પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા આંદોલનનો માર્ગ અપનાવ્યો છે.