યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને દેશની તમામ યુનિવર્સિટીઓ અને કોલેજોને આદેશ આપ્યો છે કે એડમિશન રદ કરવાના કિસ્સામાં વિદ્યાર્થીઓને તમામ ફી પાછી આપવામાં આવે.
વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતમાં યુજીસીનો મહત્વનો નિર્ણય
તમામ યુનિવર્સિટીઓ અને કોલેજોને આદેશ
વિદ્યાર્થીઓ એડમિશન રદ કરે તો બધી ફી પાછી આપો
વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતમાં UGCએ એક મહત્વનો નિર્ણય લીધો છે. UGCએ દેશની તમામ યુનિવર્સિટીઓ અને કોલેજો સહિતના ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને આદેશ આપ્યો છે કે જે વિદ્યાર્થીઓેએ એડમિશન રદ કરાવ્યું હોય અથવા તો 31 ઓક્ટોબર, 2022 સુધી સ્થળાંતર કર્યું હોય તો તેવા વિદ્યાર્થીઓને ભરેલી તમામ ફી પાછી આપી દેવામાં આવે. વાલીઓને આર્થિક મુશ્કેલી ન પડે તે માટે સંપૂર્ણ રકમ પરત કરવાનો યુજીસીએ નિર્ણય લીધો છે.
કયા વિદ્યાર્થીઓને ક્યારે પૂરી ફી પાછી મળી શકે
યુજીસીના ઓર્ડર મુજબ, જે પણ વિદ્યાર્થીઓ 31 ઓક્ટોબર 2022 પહેલા પોતાનું એડમિશન રદ કરાવે તો યુનિવર્સિટીઓ તેમને ભરેલી ફી પાછી આપવા બંધાયેલી છે.
31 ઓક્ટો.થી 31 ડિસેમ્બર, 2022ની વચ્ચે એડમિશન રદના કિસ્સામાં 1000 રુપિયા કપાશે
યુજીસીનો એવો પણ આદેશ છે કે જો વિદ્યાર્થીઓ 31 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર, 2022 ની વચ્ચે તેમનું એડમિશન રદે કરે તો પ્રોસેસિંગ ફી તરીકે 1,000 રૂપિયાથી વધુની કપાત પછી વિદ્યાર્થીને સંપૂર્ણ ફી પરત કરવામાં આવશે.
કેટલીક પ્રવેશ પરીક્ષાઓમાં એડમિશન ઓક્ટોબર 2022 સુધી ચાલુ રહી શકે
યુજીસીએ જણાવ્યું કે કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ (સીયુઇટી 2022), જોઇન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન (જેઇઇ મેઇન 2022) અને જેઇઇ એડવાન્સ સહિતની કેટલીક પ્રવેશ પરીક્ષાઓમાં વિલંબ થયો છે, જેના કારણે પ્રવેશ ઓક્ટોબર 2022 સુધી ચાલુ રહી શકે છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) 20 ઓગસ્ટના રોજ સીયુઇટી 2022 ના બીજા તબક્કાનું સમાપન કરશે અને 15 દિવસ પછી પરિણામ જાહેર થવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે 12 જુલાઈએ, યુજીસીએ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને સીબીએસઈ ધોરણ 12 ના પરિણામ 2022 નું પરિણામ જાહેર થયા પછી તેમની અંડરગ્રેજ્યુએટ પ્રવેશ પ્રક્રિયાની છેલ્લી તારીખ નક્કી કરવા વિનંતી કરી હતી જેથી આવા વિદ્યાર્થીઓને યુજી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે પૂરતો સમય મળી શકે.