મુંબઈના જુદા જુદા વિસ્તારોના નામ પોતાના સ્વાર્થ ખાતર બદલી નવા નવા નામ આપતા બિલ્ડરોને અને ડેવલપરોને પાઠ ભણાવવા શિવસેના સજ્જ થઇ ગઇ છે. શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ નામ બદલું બિલ્ડરોને ફાઠ ભણાવવા માટે ગઇકાલે જ નગરસેવકોને આદેશ આપ્યો હતો.
શિવસેના ભવનમાં ગઇકાલે ઉદ્ધવ ઠાકરેએ પક્ષના નગરસેવકોની મીટિંગ યોજી હતી. આ મીટિંગમાં તેમણે કહ્યું હતું કે અનેક બિલ્ડરોએ જુદા જુદા વિસ્તારોમાં ઊંચી ઊંચી ઇમારતો બાંધી છે. આ બિલ્ડરોએ સંબંધિત વિસ્તારના જૂના નામ બદલી વૈભવશાળી વિસ્તારોની ઝાંખી કરાવતા નામો આપવા માંડયા છે.
આ ઉપરાંત ઉદ્ધવ ઠાકરે ચેતવણી આપી હતી કે દાખલા તરીકે લોઅર-પરેલને ન્યૂ-મરીન લાઇન્સ અને ધારાવીને અપર-પરેલ નામો આપી ફલેટના ખરીદારોને આકર્ષવાનો નુસ્ખો અજમાવે છે. એટલે આવી રીતે નામ બદલ્યા હોય ત્યાંના બિલ્ડરોને મળીને નગરસેવકો નવા નામના પાટિયા હટાવવાનું જણાવે. એક મહિનામાં નવા નામના પાટિયા નહીં હટાવાય તો તેની ઉપર કાળો રંગ ચોટાવવાનું આંદોલન શિવસેના છેડશે.