શિવસેના પ્રમુખ ઉધ્ધવ ઠાકરે આ મહિનાની 15 તારીખે અયોધ્યા જાય તેવી શક્યતા છે. જો કે હજી સુધી તારીખને લઇને કોઇ સત્તાવાર જાણકારી પ્રાપ્ત થઇ નથી. જો કે શિવસેના પ્રમુખ ઉધ્ધવ ઠાકરે અયોધ્યા આ મહિને ચોક્કસ જશે તેવી પાર્ટીના મીડિયા સેલે જાણકારી આપી હતી.
ઉલ્લેખનીય છે કે શિવસેના પ્રમુખ ઉધ્ધવ ઠાકરેએ લોકસભા ચૂંટણી પહેલા અયોધ્યાની મુલાકાત લીધી હતી. નવેમ્બરમાં કરેલી પોતાની આ મુલાકાતમાં કેન્દ્ર સરકારને જણાવ્યું હતું કે દેશ રાહ જોઇ રહ્યો છે કે ક્યારે રામ મંદિરનું નિર્માણ થશે. અમે મંદિર નિર્માણને લઇને કેટલી રાહ જોઇશું.
જો કે સૂત્રોને મળતાં અહેવાલ મુજબ ઉધ્ધવ ઠાકરેની અયોધ્યા મુલાકાતની તારીખ પર અંતિમ નિર્ણય બાદમાં લેવામાં આવશે. ઉધ્ધવ ઠાકરેએ પોતાની ગત અયોધ્યા મુલાકાતમાં જણાવ્યું હતું કે જો કેન્દ્ર સરકાર રામ મંદિરને લઇને અધ્યાદેશ લાવે છે તો અમે તેમનો પુરો સહયોગ કરીશું.
શિવસેના પ્રમુખે પોતાની ગત યાત્રામાં અયોધ્યા જઇ રામ મંદિરમાં દર્શન કર્યા હતા. ઉધ્ધવ ઠાકેરના પ્રવાસની જાણકારી એવા સમયે આવી રહી છે જ્યારે મંદિર નિર્માણ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે એક દિવસ પહેલા જણાવ્યું હતું કે રામ મંદિર નિર્માણ માટે અમે સુપ્રીમ કોર્ટના નિર્ણયની રાહ જોઇશું.