તમામ પ્રકારના કડક પ્રતિબંધો કોરોનાને કાબૂમાં લાવવા નિષ્ફળ નીવડ્યાં હોવાથી મહારાષ્ટ્રમાં હવે ટોટલ લોકડાઉન તરફ જઈ રહ્યું છે.
મહારાષ્ટ્રમાં આવતીકાલે ટોટલ લોકડાઉનની જાહેરાત થશે
નવા પ્રતિબંધો ધાર્યું પરિણામ ન લાવતા રાજ્ય સરકારનો નિર્ણય
સીએમ ઉદ્ધવ ઠાકરે કરશે લોકડાઉનની જાહેરાત
રાજ્યમાં નવા પ્રતિબંધો લાગુ
કરિયાણાની અને શાકભાજીની દુકાનો સવારના 7 થી 11 સુધી જ ખુલ્લી રાખી શકાશે
સવારના 7 થી રાતના 8 સુધી હોમ ડિલિવરીની મળી છૂટ
મંગળવારે મહારાષ્ટ્ર કેબિનેટની બેઠક મળી હતી તેમાં તમામ મંત્રીઓએ એક સૂરે ટોટલ લોકડાઉન લગાડવાની માંગણી ઉઠાવી હતી. સૂત્રોના જણાવ્યાનુસાર સીએમ ઉદ્ધવ ઠાકરે પણ ટોટલ લોકડાઉનની તરફેણમાં છે. એટલે બુધવારે રાતના 8 ની આસપાસ ટોટલ લોકડાઉની જાહેરાત થવાની પૂરી સંભાવના છે.
સીએમ ઠાકરેને રાજ્યમાં ટોટલ લોકડાઉનની વિનંતી કરી-મંત્રીઓ
રાજ્યના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ જણાવ્યું કે અમે સીએમ ઠાકરેને રાજ્યમાં ટોટલ લોકડાઉનની વિનંતી કરી છે. તમામ મંત્રીઓ પણ લોકડાઉનના પક્ષમાં છે. મંત્રી અસલમ શેખે કહ્યું કે મેડિકલ અને ઓક્સિજનની અછતને ધ્યાનમાં રાખતા રાજ્ય પૂર્ણ લોકડાઉન તરફ આગળ વધી રહ્યું છે.
રાજ્યમાં કરિયાણાની અને શાકભાજી તથા ફળની દુકાનો સવારના 7 થી 11 વાગ્યા સુધી જ ખુલ્લી રાખી શકાશે
બીજી તરફ મહારાષ્ટ્રમાં પણ નવા પ્રતિબંધો જાહેર કરાયા છે. રાજ્યમાં કરિયાણાની અને શાકભાજી તથા ફળની દુકાનો સવારના 7 થી 11 વાગ્યા સુધી જ ખુલ્લી રાખી શકાશે. સરકાર દ્વારા જારી નવા ઓર્ડરમાં કહેવાયું કે તમામ કરિયાણાની દુકાનો, શાકભાજીની દુકાનો, ડેરી, બેકરી, મીઠાની દુકાનો, ખાદ્ય પદાર્થ વેચતી તમામ દુકાનો (ચિકન, મટન, પોલ્ટ્રી,માછલી,ઈંડા સહિત), ખેતીના સાધનો, કૃષિ ઉપજ સંબંધિત દુકાનો, પશુદાણની દુકાનો સવારના 7 થી 11 વાગ્યા સુધી જ ખુલ્લી રાખી શકાશે.
જે દુકાનો પર પ્રતિબંધ લગાડાયો છે તેઓ સવારના 7 થી રાતના 8 ની વચ્ચે હોમ ડિલિવરી કરી શકે છે.
મંગળવારે, મહારાષ્ટ્રના સૌથી મોટા કોવિડ રસીકરણ કેન્દ્રમાં ડોઝ ખૂટી પડતાં સેન્ટરને બંધ કરવાની નોબત આવી છે. ત્યાં રસી લેવા ગયેલા વરિષ્ઠ નાગરિકો નિરાશ થયા હતા અને રસી લીધા વિના પાછા ફર્યા હતા.
વૅક્સિનના ડોઝ પૂર્ણ થયા પછી રસીકરણ કેન્દ્રની બહાર 'Vaccine Out of Stock' બોર્ડ લગાવવામાં આવ્યું છે. રસીકરણ કેન્દ્રના ડીને કહ્યું, 'અમારી પાસે કોવિશિલ્ડની 350 થી 400 ડોઝ હતા, જે અમે લોકોને આપી દીધા હતા. અમે વધુ રસીના ડોઝ માટે રાહ જોઈ રહ્યા છીએ. કોવોક્સિનના લગભગ 2000 ડોઝ બીજા ડોઝ માટે ઉપલબ્ધ છે, જે લોકોને આપવામાં આવી રહ્યાં છે.