શિવસેનામાં જે રીતે રાજકારણમાં ઉથલપાથલ ચાલી રહી છે, તે જોઈને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે નિશ્ચિતપણે દુ:ખી છે, જે બાદ તેમણે બળવાખોર ધારાસભ્યોને સણસણતો જવાબ આપ્યો છે.
શિવસેનાના બળવાખોર ધારાસભ્યોએ નવો મોર્ચો ખોલ્યો
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કર્યા ધારદાર સવાલ
ધારાસભ્યોને આપી ચેલેન્જ
દમ હોય તો, શિવસેના અને ઠાકરેનું નામ લીધા વિના ઊભા થઈને બતાવો, મારો ફોટો લગાવ્યા વિના જનતાની વચ્ચે જઈને બતાવી દો. જે કહેતા હતા કે મરી જઈશું પણ શિવસેનાનો સાથે નહીં છોડીએ, તે આજે શિવસેના છોડીને જતાં રહ્યા. બળવાખોરોએ શિવસેનાને તોડવાનું પાપ કર્યું છે. મને મુખ્યમંત્રી તરીકે જે જોવા નથી માગતા, તેમની મહત્વકાંક્ષા રાક્ષસી છે. જે અમને છોડીને જતાં રહ્યા, તેમના વિશે શું કામ ચિંતા કરીએ. મહારાષ્ટ્રના રાજકારણમાં ઉથલપાથલની વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે જિલ્લા પ્રમુખો અને જિલ્લા સંપર્કોની બેઠકમાં શિવસેનામાં થયેલા બળવાને લઈને ગુસ્સો ઠાલવ્યો હતો. તેમના વક્તવ્યમાં ભારોભાર દુ:ખ હતું. સીએમ ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદે જૂથના ધારાસભ્યો પર બરાબરના માછલા ધોયા હતા અને તેમને ચેતવણી આપી હતી કે, તેઓ તેમનું અને પાર્ટીનું નામ લીધા વિના ઊભા થઈને કરી બતાવે.
સીએમ ઉદ્ધવ ઠાકરેએ શિવસેનામાં થયેલા બળવા માટે ભાજપને જવાબદાર ઠેરવી છે. તેમણે કહ્યું કે, એકનાથ શિંદેએ ભાજપની લગાવેલી ચિંગારીને આગનું રૂપ આપ્યું છે.ઉદ્ધવ ઠાકરેએ જિલ્લા પ્રમુખોની બેઠકમાં કહ્યું કે, તેમને સત્તાનો લોભ નથી. તેમની આંખોમાં જે પાણી છે, તે આંસૂ નથી, આ કોરોનાનું પાણી છે.
લાગ્યું હતું ખુરશી ડગી રહી છે....
બળવાખોર પર મુખ્યમંત્રીએ કટાક્ષ કરતા કહ્યું કે, કોણ કેવા પ્રકારનો વ્યવહાર કરી રહ્યું છે, તેમા નથી જવું, જે લોકો કહેતા હતા કે અમે મરી જઈશું પણ શિવસેના નહીં છોડીએ,તે મર્યા પહેલા જ છોડીને જતાં રહ્યા. તેઓ ઠાકરે અને શિવસેનાનું નામ લીધા વિના કરી બતાવે. બળવાખોર ધારાસભ્યોએ શિવસેનાને તોડવાનું કામ કર્યું છે, મારા ફોટાનો ઉપયોગ કર્યા વિના ફરીને બતાવે. જે છોડીને જતાં રહ્યા છે, તેમને લઈને મને શું કામ ખોટું લાગશે. મને મુખ્યમંત્રી તરીકે પસંદ ન કરવું એક રીતે રાક્ષસી મહત્વકાંક્ષા છે. મને લાગતું હતું કે, મુખ્યમંત્રીની ખુરશી ડગી રહી છે, પણ આતો આખું થડ ડગમગી રહ્યું છે.
મારો નિશ્ચય ડગ્યો નથી, મારી જીદ હજૂ પણ જેમની તેમ છે
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, મેં જિદ છોડી નથી, મારી જિદ હજૂ પણ જેમની તેમ છે. ધારાસભ્યોને લાલચ આપીને પોતાના તરફ ખેંચી લીધા. એકનાથ શિંદે માટે શું ઓછુ કર્યું છે, નગર વિકાસ મંત્રાલય આપ્યું. સંજય રાઠોડ પર ગંભીર આરોપ હોવા છતાં પણ તેમને સંભાળ્યા, ઝાડમાંથી ફુલો લઈ શકે, ડાળીઓ પણ લઈ શકો, પણ તેમના મૂળિયા ઉખેડી શકતા નથી. શિવસેનાના અસ્તિત્વ પર સવાલ ઉઠાવનારાઓને હવે બતાવી દેવાનો સમય આવી ગયો છે કે, સાચ્ચા શિવસૈનિકોના દિલમાં શિવસેનાને લઈને કેવી નિષ્ઠા હોય છે.