મહારાષ્ટ્રમાં એક નવા રાજકીય યુગની શરૂઆત થઈ રહી છે. જે ઠાકરે પરિવાર અત્યાર સુધી પરદા પાછળ રહીને સત્તા ચલાવતો હતો તે હવે ફ્રન્ટફૂટ પર આવ્યો છે. એક મહિનાથી ચાલી રહેલા રાજકીય ઘટનાક્રમ બાદ હવે ઉદ્ધવ ઠાકરેનું મુખ્યમંત્રી બનવાનું નક્કી છે. ગુરુવારે મોડી સાંજે ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રીના શપથ લેશે. ત્યારે આજે YB ચવાણ સેન્ટરમાં મહારાષ્ટ્ર વિકાસ અઘાડીની મેરેથોન બેઠક આજે પૂર્ણ થઈ હતી. બેઠકથી નીકળેલા નેતાઓએ કહ્યું કે મુદ્દાઓનું નિરાકરણ આવી ગયું છે.
મહારાષ્ટ્ર વિકાસ અઘાડીની બેઠક પૂર્ણ
ઉદ્ધવ હશે નવા મુખ્યમંત્રી, કાલે લેશે શપથ
આજે રાજ્યના નવા ધારાસભ્યોએ લીધા શપથ
મંત્રીઓના નામનું એલાન
NCP સાથે જયંત પાટિલ અને છગન ભુજબલ અને શિવસેના સાથે સુભાષ દેસાઈ અને એકનાથ શિંદે મંત્રી પદના શપથ લેશે. કોંગ્રેસ તરફથી બાલાસાહેબ થોરાટ અને અશોક ચવ્હાણ મંત્રી પદના શપથ લેશે.
4 કલાક ચાલી બેઠક
NCP-કોંગ્રેસ-શિવસેનાના નેતાઓની બેઠક મુંબઈના YB ચવ્હાણ સેન્ટરમાં યોજાઇ હતી. આ બેઠકમાં શરદ પવાર, અજિત પવાર, સુપ્રિયા સુલે, ઉદ્ધવ ઠાકરે, સંજય રાઉત, ધનંજય મુંડે, અશોક ચવ્હાણ, અહેમદ પટેલ, પ્રફુલ પટેલ હાજર રહ્યા હતા. આ બેઠકમાં મંત્રી મંડળને લઇને ચર્ચા કરવામાં આવી હતી. શિવસેના નેતા એકનાથ શિંદેએ કહ્યું કે બેઠકમાં બધું જ ફાઈનલ થઈ ચૂક્યું છે. કોંગ્રેસ નેતા ખડગેએ કહ્યું કે તમામ મુદ્દાઓ પર નિરાકરણ આવી ગયું છે. જ્યારે પૃથ્વીરાજ ચવાણે કહ્યું કે આવતીકાલે અમે સત્તાવાર જાહેરાત કરીશું.
કોંગ્રેસમાંથી હશે સ્પીકર
NCP નેતા પ્રફૂલ પટેલે કહ્યું કે બેઠકમાં મંત્રીઓના નામ પર ચર્ચા થઈ છે. આ બેઠકમાં ત્રણેય દળોના નેતા વચ્ચે એક મત બન્યો છે. ત્રણેય દળોમાંથી એક કે બે મંત્રીઓ શપથ લેશે. 3 ડિસેમ્બરે બહુમત સાબિત કર્યા બાદ આગળ મંત્રીમંડળનું વિસ્તરણ કરાશે. તેમણે કહ્યું કે કોંગ્રેસમાંથી સ્પીકર હશે અને ડૅપ્યુટી સીએમ અને ડેપ્યુટી સ્પીકર NCPના હશે. વિધાન પરિષદ અને નિગમો માટે પણ સહમતી બની ગઈ છે. આજે રાત્રે મંત્રીઓના નામ પણ અંતિમ મહોર લાગી જશે.
આદિત્ય ઠાકરેએ સોનિયા ગાંધીને નિમંત્રણ પાઠવ્યું
શિવસેના નેતા આદિત્ય ઠાકરે આજે મોડી રાતે 9.50 વાગ્યાની આસપાસ સોનિયા ગાંધીને ઉદ્ધવ ઠાકરેના શપથગ્રહણ સમારોહમાં આમંત્રિત કરવા માટે પહોંચ્યા હતાં. જ્યારે બીજી બાજુ ડીએમકે પ્રમુખ એમ.કે સ્ટાલિન અને મધ્યપ્રદેશના કમલનાથ શપથગ્રહણમાં શામેલ થવાના છે. જ્યારે સૂત્રોથી મળતી માહિતી મુજબ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, ચંદ્રાબાબુ નાયડુ અને દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ હાજર નહીં રહે.
અજીત પાવરને મળી શકે છે મોટું પદ
અઘાડી બેઠકમાં મંત્રી મંડળની ચર્ચાની સાથો સાથે NCP નેતા અજીત પવારને પણ મોટા પદ આપવાની ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી શકે છે. નોંધનીય છે કે, અજીત પવારે ભાજપ સાથે મળીને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. જો કે, આ ઘટના બાદ મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ સર્જાયો હતો. જો કે, 80 કલાક જેટલા સમયગાળામાં અજીત પવારે રાજીનામું આપીને શરદ પવાર સાથે પરત ફર્યા હતા. તેથી તેમને નાયબ મુખ્યમંત્રી પદ માટે પણ ચર્ચા કરવામાં આવી શકે છે.
નેતાઓ અને ખેડૂતોને પણ આમંત્રણ
શિવસેનાના નેતા એકનાથ શિંદેએ કહ્યું, અમે શપથ ગ્રહણ સમારોહ માટે સોનિયા ગાંધીને આમંત્રણ આપ્યું છે. સાથે જ કોંગ્રેસના નેતા વિજય વેડટ્ટીવારે કહ્યું કે શપથ ગ્રહણ સમારોહ માટે તમામ કોંગ્રેસ શાસિત પ્રદેશોના મુખ્યમંત્રીને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. આ સાથે જ આશરે 400 ખેડૂત પરિવારોને પણ ખાસ આમંત્રણમાં આપવામાં આવ્યું છે.