રાજસ્થાનમાં કન્હૈયાલાલ નામના દરજીની તેની દુકાનમાં જઇને નિર્દયતાથી હત્યા કરી નાખવામાં આવી. જે મામલે એક બાદ એક ચોંકાવનારા ખુલાસાઓ થઇ રહ્યાં છે.
ઉદયપુર હત્યાકાંડના આરોપીનું અમદાવાદ કનેક્શન ખુલ્યું
હત્યારાઓના મોબાઈલમાંથી મળ્યા સરખેજના યુવકોના નંબર
ગુજરાત ATS અથવા ક્રાઈમ બ્રાન્ચ આ મામલે ખુલાસો કરશે
ઉદયપુર હત્યાકાંડમાં વધુ એક ચોંકાવનારી બાબત સામે આવી છે. જેમાં કન્હૈયાલાલ હત્યા કેસના આરોપીનું અમદાવાદ કનેક્શન ખુલ્યું હોવાનું સામે આવ્યું છે. કન્હૈયાલાલ હત્યા કેસમાં હત્યારાઓના મોબાઈલમાંથી સરખેજના યુવકોના નંબર મળી આવતા અમદાવાદ કનેક્શન ખુલ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. સરખેજના યુવકોના નંબર હત્યારાઓના મોબાઇલમાંથી મળી આવતા સ્થાનિક એજન્સીઓએ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત ATS અથવા તો ક્રાઈમ બ્રાન્ચ મોટો ખુલાસો કરશે
હત્યારાઓના મોબાઇલમાંથી સરખેજના યુવકોના નંબર મળી આવતા શું સરખેજના યુવકોની ઉદયપુર હત્યા કેસમાં સંડોવણી છે કે નહીં તે અંગે હાલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. યુવકોની માનસિકતાને લઇને પણ તપાસ હાથ ધરવામાં આવી છે. આ મામલે હવે ગુજરાત ATS અથવા તો ક્રાઈમ બ્રાન્ચ મોટો ખુલાસો કરશે.
ઉલ્લેખનીય છે કે, આ હત્યા કેસની તપાસમાં પાકિસ્તાન કનેકશન પણ સામે આવ્યું છે. આ ઘટનાને અંજામ આપનારા બે આરોપીઓનું કનેક્શન કરાચી સ્થિત સુન્ની ઈસ્લામિક સંગઠન દાવત-એ-ઈસ્લામી સાથે હોવાનું સામે જાણવા મળી રહ્યું છે તેમજ પાકિસ્તાન સ્થિત કટ્ટરપંથી સંગઠન તહરીક-એ-લબૈક સાથે પણ તેઓને સંબંધ છે.
પાકિસ્તાની સંગઠન સાથે સંબંધની કબૂલાત
બંને આરોપીઓની પૂછપરછ કરાતા તેઓ સુન્ની ઈસ્લામના સૂફી બરેલવી સંપ્રદાય સાથે સંકળાયેલા હોવાનું ખુલ્યું છે. તેઓએ કરાચીમાં હાજર સંગઠન દાવત-એ-ઈસ્લામી સાથે પણ જોડાણ હોવાનું સ્વીકાર્યું છે. કાઉન્ટર ટેરરિઝમ ઓપરેશનના અધિકારીઓના જણાવ્યાં અનુસાર, ભારતમાં અન્ય કટ્ટરપંથી સુન્ની સંગઠનો અને 'મુસ્લિમ બ્રધરહુડ' સાથે તેમના સંબંધો છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
ગૃહમંત્રાલયે NIAએને આપ્યા છે તપાસના આદેશ
ઉદયપુર મામલામાં ગૃહમંત્રાલયે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ને આદેશ આપ્યા છે કે, તેઓ આ કેસની તપાસ પોતાના હાથમાં લે. ગૃહમંત્રાલય દ્વારા પોતાના નિવેદનમાં કહેવાયું કે, આ મામલામાં કોઈ પણ સંગઠન અને આંતરરાષ્ટ્રીય કનેક્શનની ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવે.
હત્યારાઓના ગ્રુપમાં એક ડઝનથી વધુ લોકો
વધુમાં તમને જણાવી દઇએ કે, કન્હૈયાની હત્યા પાછળ તેમનો હેતુ માત્ર આતંક ફેલાવવાનો હતો. કન્હૈયા ઉપરાંત તેના નિશાના પર નીતિન જૈન નામનો અન્ય એક વ્યક્તિ પણ હતો.
કન્હૈયા લાલ હત્યા કેસમાં તપાસને આગળ વધારતા NIAની ટીમ શુક્રવારે જયપુરની વિશેષ NIA કોર્ટમાં આરોપીઓના વોરંટ માટે અરજી દાખલ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર અત્યાર સુધી તપાસમાં સામે આવ્યું છે કે, આ હત્યામાં મોહમ્મદ રિયાઝ અને ગૌસ મોહમ્મદ એકલા ન હોતા, પરંતુ તેમનું એક ગ્રુપ છે જેમાં એક ડઝનથી વધુ લોકો છે. એમના ગ્રુપમાં પાકિસ્તાનના કેટલાક લોકો એવા પણ છે જેમના ઘણા આતંકવાદી જૂથો સાથે સંબંધ છે.
અવારનવાર ISIS સાથે સંપર્ક
લાંબા સમયથી ષડયંત્ર રચી રહેલા આ લોકો સોશિયલ મીડિયામાં હિન્દુ-મુસ્લિમ વિવાદના સમાચારો વિશે ગ્રુપમાં લાંબા સમયથી વાતો કરતા હતા. લાંબા સમયથી તેઓ કંઈક મોટું કરવાનું કાવતરું ઘડી રહ્યા હતા. તેઓ ભારતને ઇસ્લામિક સ્ટેટ બનાવવા માટે ISISને પોતાનો રોલ મોડેલ માનતા હતા. બંને આરોપીઓ અવારનવાર ISIS અને તાલિબાનના વીડિયો જોતા હતા.
ઘણા અન્ય લોકો પણ તેમના નિશાના પર હતા
તેમના નિશાના પર ઘણા મોટા લોકો પણ હતા, પરંતુ તેઓ તેમની પહોંચથી ઘણા દૂર હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસ કસ્ટડીમાં જ્યારે તેની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે જે કર્યું તેનો તેને કોઇ અફસોસ નથી. સૂત્રોએ જણાવ્યું હતું કે આરોપી 2014 માં 45 દિવસ માટે ટ્રેનમાં પાકિસ્તાન ગયો હતો જ્યાં તે મોટાભાગે એવા લોકોના સંપર્કમાં હતો જેઓ એક યા બીજી રીતે વિવિધ આતંકવાદી જૂથો સાથે સંકળાયેલા હતા.