ઉદયપુરના પિંડવાડા નજીક રવિવારે બપોરે ૧ર વાગ્યે સુરેન્દ્રનગરના સોની પરિવારને ગંભીર અકસ્માત નડ્યો હતો. ઉદયપુર-પાલનપુર ફોર લેન હાઈવે પરના મોરસ વળાંકે ચાલકે કાબૂ ગુમાવતાં કાર પલટી ખાઈને ૧પ ફૂટ ઊંડી ખાઈમાં ખાબકી હતી. અકસ્માતમાં બે વ્યક્તિનાં સ્થળ પર જ મૃત્યુ થયાં હતાં જ્યારે ચાર વ્યક્તિને ગંભીર ઈજા થઈ હતી.
સ્થાનિક પોલીસસૂત્રોએ આપેલી માહિતી અનુસાર સુરેન્દ્રનગરના વિશાલભાઈ ઘનશ્યામભાઈ સોની પત્ની અમી તથા બે પુત્ર દેવ અને રતન સોની અને નીકેશકુમાર પ્રફુલ્લભાઈ પત્ની મોના તથા પુત્રી અમી સાથે રવિવારે બપોરે ઉદયપુરથી પિંડવાડા તરફ આવી રહ્યા હતા. દરમિયાન બપોરે ૧ર વાગ્યા આસપાસ મોરસ વળાંક ખાતે પુરપાટ દોડતી કાર પરથી ચાલક નીકેશ કુમારે કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે કાર રોંગ સાઇડમાં જઈને ચાર પલટી ખાઈ ગઈ હતી અને ૧પ ફૂટ ઊંડી ખાઈમાં ખાબકી હતી.
ખાઈમાં પટકાતાં કારનો એટલી હદે કૂચો વળી ગયો હતો કે ઉદયપુર નજીક સુરેન્દ્રનગરના કારમાં બેઠેલા તમામ મુસાફરો બહાર નીકળી શક્યા નહોતા. રોકકળ અને ‘બચાવો, બચાવો’ની બૂમ સાંભળીને આસપાસના લોકો સ્થળ પર દોડી ગયા હતા. લોકોએ તાકીદે કારના દરવાજા તોડીને તમામ મુસાફરોને બહાર કાઢ્યા હતા, જોકે આ અકસ્માતમાં દેવ વિશાલ સોની અને અમી નીકેશ કુમારનાં સ્થળ પર જ મૃત્યુ થયાં હતાં જ્યારે અન્ય તમામને ઈજા થઈ હતી.
ઈજાગ્રસ્તોને સ્થાનિક સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ આબુ રોડની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દરવાજા તોડીને મુસાફરોને બહાર કાઢ્યા હતા. ખાઈમાં પટકાતાં કારનો એટલી હદે કૂચો વળી ગયો હતો કે કારમાં બેઠેલા તમામ મુસાફરોને દરવાજા તોડી બહાર કાઢવાની ફરજ પડી હતી.