કન્હૈયાની હત્યા પાછળ તેમનો હેતુ માત્ર આતંક ફેલાવવાનો હતો. કન્હૈયા ઉપરાંત તેના નિશાના પર નીતિન જૈન નામનો અન્ય એક વ્યક્તિ પણ હતો.
NIA ની ટીમ જયપુર પહોચી
બન્ને આરોપીના પાકીસ્તાનના આતંકી ગ્રુપ સાથે કોન્ટેક્ટ
ISISને પોતાનો રોલ મોડેલ માનતા હતા
પોતાના ગ્રુપમાં એક ડઝનથી વધુ લોકો
કન્હૈયા લાલ હત્યા કેસમાં તપાસને આગળ વધારતા NIAની ટીમ શુક્રવારે જયપુરની વિશેષ NIA કોર્ટમાં આરોપીઓના વોરંટ માટે અરજી દાખલ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર અત્યાર સુધી તપાસમાં સામે આવ્યું છે કે, આ હત્યામાં મોહમ્મદ રિયાઝ અને ગૌસ મોહમ્મદ એકલા નહોતા, પરંતુ તેમનું એક ગ્રુપ છે જેમાં એક ડઝનથી વધુ લોકો છે. એમના ગ્રુપમાં પાકિસ્તાનના કેટલાક લોકો એવા પણ છે જેમના ઘણા આતંકવાદી જૂથો સાથે સંબંધ છે.
લાઇવ હત્યા કરવી હતી
કન્હૈયાની હત્યા પાછળનો તેમનો હેતુ માત્ર ગભરાટ ફેલાવવાનો હતો. કન્હૈયા ઉપરાંત તેના નિશાના પર નીતિન જૈન નામનો અન્ય એક વ્યક્તિ પણ હતો. હકીકતમાં આ લોકોએ પોલીસને જણાવ્યું હતું કે મોહમ્મદ પૈગંબર પર ટિપ્પણી બાદ તેમનો હેતુ કન્હૈયા લાલની લાઇવ હત્યા કરવાનો હતો જેથી તેના કૃત્યથી એક સમુદાયમાં ગભરાટ પેદા થાય અને તે બંને તેમના ધર્મના હીરો બની જાય.
અવારનવાર ISIS સાથે સંપર્ક
લાંબા સમયથી ષડયંત્ર રચી રહેલા આ લોકો સોશિયલ મીડિયામાં હિન્દુ-મુસ્લિમ વિવાદના સમાચારો વિશે ગ્રુપમાં લાંબા સમયથી વાતો કરતા હતા. લાંબા સમયથી તેઓ કંઈક મોટું કરવાનું કાવતરું ઘડી રહ્યા હતા. તેઓ ભારતને ઇસ્લામિક સ્ટેટ બનાવવા માટે ISISને પોતાનો રોલ મોડેલ માનતા હતા. બંને આરોપીઓ અવારનવાર ISIS અને તાલિબાનના વીડિયો જોતા હતા.
આતંક ફેલાવવા હત્યા કરી
તે બંને હિન્દુઓને કાફિર માને છે અને તેમણે આ કામ હિન્દુઓમાં આતંક ફેલાવવાના ઇરાદાથી કર્યું હતું. નૂપુર શર્માના વિવાદિત નિવેદન બાદ જ્યારે દેશના ઘણા ભાગોમાં પથ્થરબાજી થઈ તો તેમને લાગ્યું કે તેમના મઝહબના હીરો બનવાની આ સૌથી સારી તક છે. નૂપુર શર્માની પોસ્ટ પર કન્હૈયા લાલની પ્રતિક્રિયા બાદ તેમણે કન્હૈયાને સૌથી સરળ ટાર્ગેટ માન્યો હતો.
ઘણા બીજા પણ નિશાના પર હતા
તેમના નિશાના પર ઘણા મોટા લોકો પણ હતા, પરંતુ તેઓ તેમની પહોંચથી ઘણા દૂર હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસ કસ્ટડીમાં જ્યારે તેની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે જે કર્યું તેનો તેને કોઇ અફસોસ નથી. સૂત્રોએ જણાવ્યું હતું કે આરોપી 2014 માં 45 દિવસ માટે ટ્રેનમાં પાકિસ્તાન ગયો હતો જ્યાં તે મોટાભાગે એવા લોકોના સંપર્કમાં હતો જેઓ એક યા બીજી રીતે વિવિધ આતંકવાદી જૂથો સાથે સંકળાયેલા હતા.
બન્ને સ્લીપર સેલની જેમ કામ કરતા હતા
પાકિસ્તાનના આકાઓના આદેશ પર બંને છેલ્લા ઘણા વર્ષોથી રાજસ્થાનમાં રહીને સ્લીપર સેલની જેમ કામ કરી રહ્યા હતા. છેલ્લા ઘણા સમયથી તેઓ અલગ-અલગ એપ દ્વારા પોતાના મેન્ટર્સનો સંપર્ક કરતા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસ પૂછપરછ દરમિયાન બંનેએ જણાવ્યું કે, નૂપુર શર્માના નિવેદન બાદ આ ષડયંત્ર તેમના દ્વારા કરવામાં આવ્યું હતું. જે બાદ તેઓએ ઉદેપુરના સિપાટિયા વિસ્તારની વેલ્ડીંગ ફેકટરીમાં હથિયારો બનાવ્યા હતા અને હત્યા કર્યા બાદ ફેકટરી માલિકની ઓફિસમાં વીડિયો બનાવ્યો હતો.