કોરોના સંકટ વચ્ચે ઓનલાઇન ફૂડ એગ્રિગેટર કંપની ઝોમેટોએ તેના 13 ટકા કર્મચારીઓને છૂટા કરવાનો નિર્ણય કર્યો. ઝોમાટોએ શુક્રવારે કહ્યું હતું કે તે તેના 13 ટકા કર્મચારીઓને છૂટા કરશે અને જૂનથી આવનારા છ મહિના માટે કર્મચારીઓના પગારમાં 50 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
કંપનીનું કહેવું છે કે કોરોનાવાયરસને કારણે રેસ્ટોરન્ટ્સ અને હોટલો બંધ હોવાથી ફૂડ ડિલીવરીનો વ્યવસાય ખરાબ રીતે પ્રભાવિત થયો છે.
પગારમાં 50% ઘટાડો
ઝોમેટોના સ્થાપક અને CEO દીપિંદર ગોયલે કર્મચારીઓને મેઇલ લખીને કહ્યું છે કે ઓછા વેતન મેળવતા કર્મચારીઓ માટે ઓછો કાપ અને ઉચ્ચ વેતન મેળવતા કોર્પોરેટ કર્મચારીઓ માટે વધુ કપાત (50 ટકા સુધી) સૂચવવામાં આવ્યો છે.
દીપિંદર ગોયલે લખ્યું છે, "આપણે ઝોમેટો તેના કામ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે તેમ ઇચ્છીએ છીએ પરંતુ અમને લાગે છે કે ભવિષ્યમાં આપણા બધા કર્મચારીઓ માટે પૂરતું કામ નહીં હોય." તેમણે ઉમેર્યું, "અમારે અમારા બધા કર્મચારીઓને કામકાજ પૂરું પાડવું છે પરંતુ અમે ભવિષ્યમાં લગભગ 13 ટકા કર્મચારીઓ માટે તેમ કરી શકીશું નહીં."
ઝોમેટોના સહ-સ્થાપક, COO ગૌરવ ગુપ્તા અને CEO ફૂડ ડિલિવરી બિઝનેસ મોહિત ગુપ્તા અસરગ્રસ્ત કર્મચારીઓના સંપર્કમાં રહેશે જેથી તેઓને વહેલી તકે બીજી નોકરી મળી શકે. દીપિંદર ગોયલે કહ્યું કે ઝોમેટો આર્થિક અને ભાવનાત્મક રૂપે શક્ય હોય તે રીતે તેમનું સમર્થન કરશે.
ઉબર પણ કર્મચારીઓને છુટા કરી ચુકી છે
અગાઉ ઓનલાઇન કેબ સર્વિસ પૂરા પાડતા ઉબરે તેના 14 ટકા કર્મચારીઓ એટલે કે 3700 કર્મચારીઓને નોકરીમાંથી છુટા કરી દીધા છે. ઉબરે કહ્યું કે અમે 3700 ફ્રન્ટલાઈન કર્મચારીઓને છુટા કરી રહ્યા છીએ. ઉબરે આ કર્મચારીઓને ઝૂમ દ્વારા વીડિયો કોલ દ્વારા આ માહિતી આપી હતી. ઉબરે કહ્યું કે તમારા કામ પર અસર થઈ છે અને ઉબર સાથે કામ કરવાનો આજે તમારો છેલ્લો દિવસ છે.
ઘણા કર્મચારીઓએ ઉબરના વ્યવહારની નિંદા કરી
જો કે, ઘણા કર્મચારીઓએ ઉબરના વ્યવહારની નિંદા કરી હતી અને કહ્યું હતું કે કંપનીએ અગાઉ નોટિસ આપવી જોઇતી હતી. અચાનક 3700 કર્મચારીઓને કાઢી મુકવા યોગ્ય નથી. બરતરફ કરાયેલા ઘણા કર્મચારીઓને થોડા પૈસા પણ મળ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઉબરે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 2.9 અબજ ડોલરનું નુકસાન કર્યું છે. કંપનીએ તેની બાઇક અને સ્કૂટરનો ધંધો પણ બંધ કરી દીધો છે.