પંચમહાલના શહેરા તાલુકાના ખરેડીયા પાસે ડિવાઈડર સાથે ત્રિપલ સવારી બાઈક અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે યુવકોના મોત નિપજતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. જ્યારે અન્ય એક યુવકને ઈજા થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
શહેરાના ખરેડીયા પાસે અકસ્માતની ઘટના
2 યુવકના મોત અન્ય એક ઈજાગ્રસ્ત
ઈજાગ્રસ્તે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ખરેડીયા પાસે ગઈકાલે રાત્રે ભયાનક અકસ્માત સર્જાતા બે યુવકોના ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ નીપજ્યા છે, જ્યારે એક યુવકને ઈજાઓ થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
ધડાકાભેર ડિવાઈડર સાથે અથડાયું બાઈક
મળતી માહિતી અનુસાર, ગતરોજ મોડી રાત્રે શહેરા તાલુકાના ખરેડીયા પાસે ત્રણ યુવકો બાઈક લઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન ત્રિપલ સવારી બાઈક ધડાકાભેર ડિવાઈડર સાથે અથડાયું હતું. આ અકસ્માતમાં બે યુવકોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. આ અકસ્માતને પગલે રાહદારીઓના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા.
ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડાયો
આ અકસ્માત અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ તાત્કાલિક બનાવ સ્થળે દોડી આવ્યો હતો. આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા અન્ય એક યુવકને 108 મારફત શહેરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તો મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માત એટલો બધો ભયાનક હતો કે, બાઈકના તો ફૂરચેફૂરચા ઉડી ગયા છે. માર્ગ અકસ્માતમાં એક સાથે બે યુવકોના મોતને પગલે પરિવારજનોમાં આક્રંદનો માહોલ છવાઈ ગયો છે. તો પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ગતરોજ એસ.ટી બસની થઈ ગઈ હતી બ્રેક ફેલ
અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલે પંચમહાલ જિલ્લામાં એસ.ટી બસની બ્રેક ફેલ થઈ જવાની ઘટના સર્જાઈ હતી. જોકે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નહોતી. ગઈકાલે 11.30 કલાકે પાવાગઢ તળેટીથી યાત્રાળુઓને લઈ માંચી જતી એસટી બસની બુઢિયા દરવાજા પાસે બ્રેક ફેલ થઈ જવાની ઘટના સર્જાઈ હતી. પણ સદનસીબે કોઈ અકસ્માત ન સર્જાતાં બસમાં સવાર યાત્રાળુઓને હાશકારો થયો હતો.