ગુજરાતમાં સતત અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. રોજબરોજ કોઇને કોઇ જગ્યાએ દુર્ઘટના ઘટી હોવાનું સામે આવતું હોય છે. ત્યારે તાજેતરમાં જ રાજકોટમાં એક કારચાલકે બાઈક સવાર યુવકોને અડફેટે લેતા બે યુવકો મોત નિપજ્યાં છે.
ગોંડલ રોડ નજીક કારચાલક અકસ્માત સર્જીને ફરાર
રાજકોટના ગોંડલ રોડ નજીક કારચાલક અકસ્માત સર્જીને ફરાર થઇ ગયો હતો. પુરપાટ ઝડપે આવતી કારે બાઈક સવારોને ઉડાવતા બે યુવકો મૃત્યુ પામ્યા છે. જોકે આ ઘટનાની જાણ થતા જ તુરંત ઘટનાસ્થળે પોલીસ ટીમ આવી પહોંચી હતી. હાલમાં પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે. મહત્વનું છે કે, અકસ્માત સર્જાતા જ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં એકત્ર થઇ ગયા હતા. તેમજ અકસ્માતના કારણે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. પરંતુ પોલીસના આવ્યા બાદ તુરંત ટ્રાફિકને હળવો કરી દેવાયો હતો. સાથે બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી દેવાયા હતા. હાલ આ સમગ્ર ઘટનાની પોલીસ તપાસ હાથ ધરી રહી છે તેમજ ઘટનાસ્થળના CCTV મેળવવાના પણ પોલીસે પ્રયાસ હાથ ધર્યા છે.
રાજ્યમાં રોજના 43 અકસ્માતમાંથી 22 લોકોના થાય છે મૃત્યુ
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં રોજના 43 અકસ્માતમાંથી 22 લોકોના મૃત્યુ થાય છે. દર બીજા એક્સિડન્ટ (અકસ્માત) માં એક વ્યક્તિનું મૃત્યુ થઇ રહ્યું છે. વર્ષ 2021માં દેશમાં 4.22 લાખ ટ્રાફિક અકસ્માત થયા છે. જેમાં 1.73 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
બપોરના 3થી રાત્રે 9 વાગ્યાના સમયગાળામાં થાય છે સૌથી વધારે અકસ્માત
ગુજરાતમાં ટ્રાફિક અકસ્માતના 15,771 કેસો નોંધાયા છે. જેમાંથી રાજ્યમાં 13,723 લોકોને ઇજાઓ થઇ હતી. ગુજરાતમાં 2021માં 8,036 લોકોનાં મૃત્યુ થયા છે. તમને જાણીને કદાચ નવાઇ લાગશે કે સૌથી વધારે અકસ્માતો બપોરના 3થી રાત્રે 9 વાગ્યાના સમયગાળામાં થયા છે. 2020માં ગુજરાતમાં 13,898 ટ્રાફિક અકસ્માતના કેસ નોંધાયા હતા. એક વર્ષમાં ટ્રાફિક અકસ્માતોમાં 13.5 ટકાનો વધારો થયો. ટ્રાફિક અકસ્માતોમાં 15,200 બનાવો રોડ અકસ્માતોના હતા જ્યારે 571 બનાવ રેલવે અકસ્માતોના હતા. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો દ્વારા જાહેર કરાયેલા 'એક્સિડેન્ટલ ડેથ્સ એન્ડ સ્યુસાઇ્સ ઇન ઇન્ડિયા, 2021' ના અહેવાલમાં આ વિગતો સામે આવી છે.
રાજ્યમાં થયેલા કુલ માર્ગ અકસ્માતોમાં નેશનલ હાઇવે પર 3,376 અકસ્માતોમાંથી 2,017 લોકો, સ્ટેટ હાઇવે પર થયેલા 4,420 અકસ્માતોમાં 2,543 લોકો જ્યારે એક્સપ્રેસ હાઈવે પર થયેલા અકસ્માતોમાં 33 લોકોએ જીવ ગુમાવ્યા હતા. એ સિવાયના અન્ય 7,360 રોડ અકસ્માતોમાંથી 2,864 લોકોનાં મૃત્યુ થયા હતાં.
અકસ્માત માટે બેફામ ડ્રાઇવિંગ અને ઓવર સ્પીડ જવાબદાર કારણ
અકસ્માતના સૌથી જવાબદાર કારણોમાં બેફામ ડ્રાઇવિંગ અને ઓવર સ્પીડ સૌથી વધારે જવાબદાર કારણ છે. ગુજરાતમાં સૌથી વધારે 6,630 લોકોનાં મૃત્યુ ઓવર સ્પીડના કારણે થયા છે. જ્યારે વર્ષ 2021માં રખડતાં ઢોરના કારણે 46 લોકોએ જીવ ગુમાવવો પડ્યો હતો. દેશમાં આ આંકડો 1,264 છે. સૌથી વધારે 128 લોકોએ ઓડિશામાં ઢોરોના કારણે જીવ ખોયા છે.