સુરતમાં બે વર્ષની માસૂમ બાળકીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. માસૂમ બાળકી સાથે અઘટિત ઘટના બની હોવાની શંકા જતા પોલીસે તપાસ શરૂ કરી છે.
સુરતમાં બે વર્ષની માસૂમ બાળકીની હત્યા
માસૂમ બાળકી જોડે અઘટિત ઘટના બની હોવાની શંકા
સચિન પોલીસ મથકની હદમાં બની ઘટના
સુરત સેશન્સ કોર્ટે ગત 24મી ફેબ્રુઆરીએ બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરનાર નરાધમને ફાંસીની સજા ફટકારી હતી. ત્યાં સુરતમાંથી વધુ એક બાળકીની હત્યાની ઘટના સામે આવી છે. બાળકી પર દુષ્કર્મ થયું હોવાનું પણ પોલીસને લાગી રહ્યું છે, હાલ સચીન પોલીસની ટીમ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.
બાળકીની કરી શોધખોળ
મળતી માહિતી અનુસાર, સુરત શહેરના સચિનના કપલેટા ગામમાં રહેતી બે વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. બાળકી જોડે દુષ્કૃત્ય આચર્યા બાદ હત્યા થયાની પોલીસને શંકા છે. બાળકી દરરોજની જેમ પાડોશમાં રહેતા ઇસ્માઇલ યુસુફના ફરે સોમવારે સાંજે રમવા માટે ગઈ હતી. જોકે, બાળકી મોડી રાત સુધી ઘરે પરત ન આવતા પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી.
પરિવારજનો સચિન પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા
આ દરમિયાન પાડોશી અને બાળકી સાંજથી ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પરિવારજનો સચિન પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. બાળકીના પરિવારજનોએ સમગ્ર હકીકત પોલીસને જણાવતા પોલીસે પણ એક પણ મિનિટનો સમય બગાડ્યા વગર વિવિધ ટીમો બનાવીને બાળકીની શોધખોળ હાથ ધરી હતી.
ઝાડીઓમાંથી બાળકીનો મળી આવ્યો હતો મૃતદેહ
શોધખોળ દરમિયાન મોડી રાત્રે કપલેટા ગામમાં આવેલા એક બંધ મકાનની પાછળ ખુલ્લી જગ્યામાં ઝાડીઓમાંથી બાળકીનો મૃતદેહ મળી આવતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. બાળકીનો મૃતદેહ મળી આવતા ઉચ્ચ અધિકારીઓનો કાફલો બનાવ સ્થળે દોડી આવ્યો હતો. માસુમ બાળકીનો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો
ગણતરીની કલાકમાં જ યુસુફની ધરપકડ
જે બાદ પોલીસે યુસુફને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસ ટીમની મહેનત બાદ યુસુફને ગણતરીના કલાકોમાં જ ઝડપી લેવામાં આવ્યો હતો. તો બાળકીના મૃતદેહને પણ પીએમ માટે મોકલી દેવામાં આવ્યો હતો. બાળકી પર દુષ્કર્મ થયું હોવાનું પણ પોલીસને લાગી રહ્યું છે, પરંતુ આ સમગ્ર બાબત પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે. પોલીસે યુસુફની અટક કરીને બાળકી સાથે દુષ્કર્મ કર્યું છે કે નહીં અને હત્યા કરી છે કે નહીં એ અંગે પૂછપરછ કરી રહી છે.
કોર્ટે ફટકારી હતી ફાંસીની સજા
અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતમાં દુષ્કર્મ અને હત્યા કેસમાં આરોપી મુકેશ પંચાલને કોર્ટે 4 દિવસ અગાઉ ફાંસીની સજા ફટકારી છે, નરાધમે ચોકબજાર વિસ્તારમાં 7 વર્ષની બાળકી સાથે આચર્યું દુષ્કર્મ હતું. સુરત કોર્ટે મુકેશ પંચાલ નામના આરોપીને ફાંસી સજા આપી છે. આરોપી પર 302, 376 સહિતની કલમો હેઠળ કાર્યવાહી કરાઈ છે. નરાધમે ચોકબજાર વિસ્તારમાં 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ દુષ્કર્મ બાદ બાળકીની હત્યા પણ કરી નાંખી હતી. આરોપી મુકેશ પંચાલને કોર્ટે દોષી જાહેર કર્યો હતો જે બાદ તેને ફાંસી સજા આપી છે તેમજ ભોગ બનનાર પરિવારને 23.50 લાખનું વળતર ચૂકવવા પણ આદેશ આપ્યો છે.