જયંતિ ભાનુશાળીની હત્યા કેસના આરોપી છબિલ પટેલને વડોદરાની જેલમાંથી દિલ્હીની કોર્ટમાં હાજર કરવા માટે સરકારી વાહનને બદલે ફ્લાઇટમાં લઇ જવાતા ભારે વિવાદ થયો હતો
પૂર્વ MLA જયંતિ ભાનુશાળી હત્યા કેસ
તપાસમાં ખાનગી વાહનમાં લઇ જવાયાનું ખુલ્યુ
PSI અને કોન્સ્ટેબલને કરાયા સસ્પેન્ડ
કેસના આરોપીને ફ્લાઇટમાં લઇ જવાની ચર્ચા બાદ તપાસ
ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યા કેસના આરોપી ભાજપના પૂર્વ ધારાસભ્ય છબિલ પટેલને વડોદરાની જેલમાંથી દિલ્હીની કોર્ટમાં હાજર કરવા માટે સરકારી વાહનને બદલે ફ્લાઇટમાં લઇ જવાયા હોવાના પ્રકરણમાં પ્રાથમિક તપાસ બાદ પીએસઆઇ અને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
છબીલ પટેલને દિલ્લી રેપ કેસમાં હાજર કરવાનો હતો
કચ્છની અબડાસા બેઠકના પૂર્વ ધારાસભ્ય છબિલ પટેલ અને સાગરીતોએ ભાજપના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ જયંતિ ભાનુશાળીની ટ્રેનમાં હત્યા કરાવી હોવાનું ખૂલતાં 11ની ધરપકડ કરવામાં આવી હતી.જેમાં પૂર્વ ધારાસભ્ય છબિલ પટેલને વડોદરાની જેલમાં રાખવામાં આવ્યા હતા. ત્યારે 16મી ડિસેમ્બરે છબિલ પટેલને દિલ્હીના રેપ કેસમાં હાજર કરવાનો હોવાથી પોલીસ હેડક્વાર્ટરમાંથી પીએસઆઇ સહિત પાંચ જવાનોનો જાપ્તો મોકલવામાં આવ્યો હતો.
PSI એ.સી.રાઠવા અને કોન્સ્ટેબલ વિરમ નાથાને કરાયા સસ્પેન્ડ
પરંતુ પોલીસ છબિલ પટેલને જેલમાંથી બહાર કાઢ્યા બાદ વિમાનમાં દિલ્હી લઇ ગઇ હોવાની વિગતો ચર્ચાનો વિષય બની હતી.જેથી પોલીસ કમિશનરે જોઇન્ટ પોલીસ કમિશનરને તપાસ સોંપી હતી. આ પ્રકરણમાં નાયબ પોલીસ કમિશનરે જાપ્તામાં ગયેલા 5 જણાના નિવેદનો લીધા હતા અને મોબાઇલના લોકેશન ચેક કર્યા હતા. જેમાં છબિલ પટેલને પોલીસ વાનને બદલે કારમાં લઇ જવાયા હોવાની પ્રાથમિક વિગતો ખૂલતાં કારમાં સાથે બેઠેલા પીએસઆઇ એ સી રાઠવા અને કોન્સ્ટેબલ વિરમ નાથાભાઇને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.