કથિત તોડકાંડ મામલે મણિનગર પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મીને કરાયા સસ્પેન્ડ, વેપારીના ઘરમાં દારુ હોવાનું જણાવીને માગ્યા હતા રુપિયા
મણિનગર પોલીસ આવી ચર્ચામાં
ઘરમાં દારૂ હોવાનું કહી 10 લાખ માંગ્યા
છેલ્લે 4.5 લાખમાં પતાવટ કરી
મણિનગર પોલીસ આવી ચર્ચામાં
એક તરફ રાજ્યમાં પોલીસની છબી સુધારવાના પ્રયાસો થઇ રહ્યા છે. પોલીસ પણ પોતાની ફરજ સાથે માનવતા ભર્યા કાર્યો કરી રહ્યા છે. સેવા, શાંતિ અને સુરક્ષાનું કામ કરવાનું કાર્ય પોલીસનું છે પરંતુ જ્યારે પોલીસ જ કાયદા વિરોધી ગુનાહિત કામગીરી કરે તો શું કરવુ ? આવું જ જોવા મળ્યું છે અમદાવાદના મણિનગરમાં. કથિત તોડકાંડ મામલે બે પોલીસકર્મીને સસ્પેન્ડ કરાયા છે.
વેપારીના ઘરમાં ઘૂસીને રૂપિયાની કરી માંગ
વાત જાણે એમ છે કે મણિનગર પોલીસ સ્ટેશનના 2 પોલીસકર્મીઓ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કથિત તોડકાંડ મામલે યોગ્ય તપાસ બાદ બે પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરાયા. તેઓએ વેપારીના ઘરમાં ઘૂસીને રુપિયાની માંગણી કરી હતી. ઘરમાં દારૂ હોવાનું કહી પૈસાની માગ કરી હતી. પોલીસે તપાસ કરતા ઘરમાંથી દારૂ મળી આવ્યો નહી પરંતુ પોલીસે કામગીરીમાં અડચણના બહાને અટકાયત કરી હતી. પોલીસ કર્મીએ 10 લાખની માગ કરીને 4.50 લાખનો તોડ કર્યો હતો. ઘટનાને પગલે પિયુષ અને કુલદીપ નામના બન્ને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવી છે.
વેપારીના બે પુત્રોને માર માર્યાનો આક્ષેપ
મહત્વનું છે કે શહેરના જાણીતા વેપારીના ઘરમાં ઘુસીને દારુ છુપાવ્યો હોવાનું કહીને તોડ કર્યો હોવાનો આક્ષેપ થયો હતો. આ ઘટનામાં વેપારીના બે દિકરાઓને મારમારીને ખોટુ તરકટ રચીને તેમના પત્નીને પણ જેલમાં પુરવાની ધમકી આપવામાં આવી હતી. આ મામલે વેપારીએ પોલીસ કમિશનરને રજૂઆત કરતા ગુંડાગીરી કરનારા પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. આ ઘટનામાં પોલીસકર્મીઓએ સીસીટીવીનું ડીવીઆર કાઢીને ચેડા કર્યા હોવાના પણ આક્ષેપ કર્યા હતા.