રાજ્યમાં અસામાજિક તત્વોનો આતંક ફરી એકવાર જોવા મળ્યો. ગુનેગારોને પોલીસનો ભય ન હોવાનું સામે આવ્યું છે. જામનગરના ધ્રોલમાં અને સુરેન્દ્રનગરમાં અજાણ્યા શખ્સોએ જાહેરમાં ફાયરિંગ કરવાની ઘટના બની છે. જેમાં જામનગરના ધ્રોલમાં થયેલા ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે સુરેન્દ્રનગરમાં બે યુવકો ઈજાગ્રસ્ત થયા છે. જેમને હાલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. જામનગરમાં ફાયરિંગ કરનાર ગુનેગારોને ઝડપી પાડવામાં આવ્યા છે.
જામનગરના ધ્રોલમાં ધોળા દિવસે ફાયરિંગ
દિવ્યરાજસિંહ જાડેજાની કરપીણ હત્યા
ફરાર થયેલા 2 આરોપી ઝડપાયા
જામનગરના ધ્રોલમાં ધોળા દિવસે ફાયરિંગની ઘટના સામે આવી છે. દિવ્યરાજસિંહ જાડેજા નામના શખ્સની કરપીણ હત્યા કરવામાં આવી છે. ફાયરિંગ કરી કારમાં ફરાર થયેલા 2 આરોપીઓ ઝડપાયા છે. ધ્રોલથી મોરબી તરફ આરોપી ભાગ્યા હતા. મોરબી પોલીસે નાકાબંધી કરીને બે આરોપીને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી લોડેડ પિસ્તોલ મળી આવી છે.
શું બની ઘટના?
જામનગરના ધ્રોલમાં ત્રણબત્તી ચોક પાસ પેટ્રોલપંપ નજીક કેટલાક શખ્સોએ દિવ્યરાજસિંહ નામના યુવક પર હુમલો કર્યો હતો. આ શખ્સો દ્વારા દિવ્યરાજસિંહ પર પાંચ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ હુમલામાં દિવ્યરાજનું મોત નીપજ્યું હતું. ફાયરિંગ કરી બે શખ્સો ફરાર થઇ ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. આ ઘટનાના પગલે પોલીસ એક્શનમાં આવીને કલાકોની અંદર ફરાર થયેલા બે આરોપીઓ અનિરૂદ્ધસિંહ અને મુસ્તાકને ઝડપી પાડ્યા છે. જોકે હજુ એક આરોપી ફરાર છે. આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સુરેન્દ્રનગરઃ નાગડકા ગામે બે યુવકો પર અજાણ્યા શખ્સોએ કર્યું ફાયરિંગ
સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના નાગકડા ગામે ફાયરિંગની ઘટના બની છે. નાગકડા ગામની સીમમાં બે યુવકો પર અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું હતું. પાંચ જેટલા શખ્સો યુવકો પર ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા છે. બંને યુવકો પર અંગત અદાવતમાં બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. હાલ બંને ઈજાગ્રસ્ત યુવકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. ઘટનાને પગલે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.