સુરતમાં એક જ સોસાયટીમાં બે લોકોના હાર્ટ અટેકથી મોત થયા છે, 18 વર્ષ અને 45 વર્ષના બે વ્યક્તિના થંભી ગયા હૃદય
યુવાન વયે કેમ થંભી જાય છે હૃદય?
સુરતમાં બે વ્યક્તિના હાર્ટ અટેકથી મૃત્યુ
બંને એક જ સોસાયટીમાં રહેતા હતા
છેલ્લા ઘણા દિવસથી નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. ત્યારે સુરતમાં એક જ સોસાયટીમાં બે લોકોના હાર્ટ અટેકથી મૃત્યુ થયું છે.
સુરતમાં હાર્ટ અટેકથી બે લોકોના મોત
સુરતમાં એક જ સોસાયટીમાં બે લોકોના હાર્ટ અટેકથી મોત થયા છે, 18 વર્ષ અને 45 વર્ષના બે વ્યક્તિના અચાનક હાર્ટ બેસી ગયા હતા જેમનું નામ કમલેશ અને નફિઝ છે. જે બંન્ને મૃતદેહને પોલીસે PM અર્થે મોકલ્યા છે. જે સમગ્ર ઘટનાથી સોસાયટીમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું તેમજ પરિવાર શોકમગ્ન થયું છે.
જામનગરમાં ડો. ગૌરવ ગાંધીનું હાર્ટએટેકથી મોત થયું હતું
હજારો લોકોનું હાર્ટ દોડતું રાખીને તેમને જીવાડી રાખનાર ગુજરાતના જામનગરના ફેમસ કાર્ડિયોલોજિસ્ટ ગૌરવ ગાંધીનું થોડા દિવસ અગાઉ હાર્ટએટેકથી અવસાન થયું હતું. તેઓ રાતે હોસ્પિટલમાંથી ઘેર આવીને પરિવાર સાથે સારી રીતે જમ્યા હતા અને સવારે તેમનું હાર્ટએટેકથી મોત થયું હતું. આ ઘટનાથી ભારે શોક વ્યાપ્યો. એક એવા ડોક્ટર કે જેમણે હજારો દર્દોના હાર્ટની કાળજી લઈને તેમને જીવાડી રાખ્યાં તેમની સાથે કુદરત આટલી ક્રૂર બની.
28 મે નાં રોજ 25 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત
રાજકોટમાં હાર્ટ એટેકને કારણે 28 મે નાં રોજ બે વ્યક્તિઓનાં મોત નિપજ્યા હતા. જેમાં પ્રથમ ઘટનામાં CAનું અભ્યાસ કરતા 25 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થયાની ઘટના સામે આવી હતી. અભ્યાસ કરતા કરતા યુવકને હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારે મૃતક યુવક ધેવત પંડ્યા CAના ફાઇનલ વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો.
'હાર્ટઅટેકના કેસમાં લોકોનું ધ્યાન વધુ ખેંચાયું'
હાર્ટના એક્સપર્ટ ડૉ.તેજસ પટેલે જણાવ્યું હતું કે, હાર્ટઅટેકના કેસમાં કોરોના આવ્યા પહેલાથી વધારો નોંધાયેલો છે તેમજ કોરોના બાદ હાર્ટઅટેકના કેસમાં લોકોનું ધ્યાન વધુ ખેંચાયું છે. ડૉ. તેજસે વધુમાં જણાવ્યું કે, લોકોના મગજમાં કોરોનાની ખોટી ગ્રંથી બંધાઈ છે તેમજ વેક્સિનના કારણે હાર્ટઅટેક આવતો નથી. છેલ્લા 10 વર્ષથી યુવાનોમાં હાર્ટઅટેકના કેસ જોવા મળે છે અને પહેલા 55થી 60 વર્ષે હાર્ટઅટેક આવતા હતા. સમય જતાં 50 વર્ષેના લોકોને હાર્ટઅટેક આવવા લાગ્યા છે.
'50થી 70% કેસમાં હાર્ટઅટેકનો ખ્યાલ અગાઉથી આવી જાય છે'
ડૉ.તેજસ પટેલે કહ્યું હતું કે, અત્યારે 30થી 35 વર્ષના લોકોને હાર્ટઅટેક આવે છે તેમજ યુવાનોમાં સ્ટ્રેસ લેવલ 3થી 4 ગણુ વધી ગયું છે તેમજ ખોરાકની પેટર્ન સારી ન હોવાથી હાર્ટઅટેકનું પ્રમાણ વધ્યુ અને લોકોએ કસમયે ખોરાક લેવો ન જોઈએ તેમજ 50થી 70% કેસમાં હાર્ટઅટેકનો ખ્યાલ અગાઉથી આવી જાય છે અને 30% લોકોને અગાઉથી હાર્ટઅટેક આવવાનો ખ્યાલ આવતો નથી. ડૉ.એ કહ્યું કે, કોરોના બાદ કેસ વધ્યા નથી તેમજ લોકોના મગજમાં કોરોનાની ખોટી ગ્રંથિ બંધાઈ ગઈ છે અને વેક્સિનના કારણે હાર્ટ એટેક આવતો નથી. છેલ્લા 10-15 વર્ષથી યુવાનોમાં આવા કેસ મળે જ છે.