કોરોના મહામારીના કહેર વચ્ચે લૉકડાઉનમાં ધીરે ધીરે થોડી છૂટછાટો મળી છે ત્યારે 25મી મેથી ડોમેસ્ટિક ફ્લાઇટ સેવા પણ ફરી એકવાર શરૂ કરી દેવામાં આવી છે. જોકે સરકારની ગાઈડલાઈન અનુસાર કેટલાક નિયમોનું પાલન કરવાનું રહેશે. ત્યારે અમદાવાદથી દિલ્હી ગયેલી સ્પાઈસ જેટ ફ્લાઈટમાં 2 મુસાફરોના કોરોના પોઝિટિવ આવ્યા છે.
બંને કોરોના સંક્રમિત મુસાફર દિલ્હીથી ગુવાહાટી પણ ગયા હતા
અમદાવાદ-દિલ્હીની ફ્લાઇટમાં ગયેલા 2 યાત્રીને કોરોનાના લક્ષણો દેખાયા છે. સ્પાઇસ જેટની ફ્લાઇટમાં અમદાવાદથી દિલ્હી ગયા હતાં. બંને પોઝિટિવ પેસેન્જરો દિલ્હીથી ગુવાહાટી પણ ગયા હતાં. આ બંને પેસેન્જરોએ 25 મેના અમદાવાદથી પ્રવાસ શરૂ કર્યો હતો. અમદાવાદથી દિલ્હીની ફ્લાઇટ SG-8194માં મુસાફરી કરી હતી. દિલ્હીથી ગુવાહાટી SG-8152માં મુસાફરી કરી હતી. ફ્લાઇટમાં સાથે રહેલા અન્ય લોકોને પણ હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવશે.
ગુવાહાટીમાં આ બન્નેના કોવિડ 19ના ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને બન્ને મુસાફરોને અલગ રાખવામાં આવ્યા હતા. જ્યારે 27મી મેના રોજ આ બન્નેના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. સ્પાઈસ જેટ અન્ય મુસાફરોની સૂચના માટે સરકારી એજન્સીઓ સાથે સંકલન કરી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, 25મી મેથી સમગ્ર દેશમાં ડોમેસ્ટિક ફ્લાઇટ સેવા શરૂ થઇ ગઇ હતી. ત્યારે અમદાવાદ આવવા અને અમદાવાદથી જવા માટે મોટી સંખ્યામાં ધસારો જોવા મળ્યો હતો. અમદાવાદથી મુંબઈ, બેંગાલુરૂ, દિલ્હી, કોલકાતા, ચેન્નઈ, હૈદરાબાદ, ચંદીગઢ, નાસિક, નાગપુર, લખનૌ, પૂણે, વારાણસી, કિશનગઢ, ઉદેપુર, ઇન્દોર, જેસલમેર, જલગાંવ, પોરબંદર, કંડલાનો મુખ્યત્વે સમાવેશ થાય છે. ત્યારે અમદાવાદથી સ્વાઈસ જેટ ફ્લાઈટ મારફતે દિલ્હી પહોંચેલા 2 લોકોના કોરોના પોઝિટિવ આવ્યા છે. જેને લઇને તંત્ર દ્વારા અન્ય લોકોને હોમ ક્વોરન્ટાઇનની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.