PPF ખાતામાં રોકાણ કરતા પહેલા સરકારે બદલેલા નવા નિયમ વિશે જાણી લેજો. નાણા મંત્રાલયે આ સરકારી બચત યોજનાના નિયમોમાં ફેરફાર કર્યા છે.
PPFમાં રોકાણ કર્યું હોય તો જરૂર વાંચી લેજો
સરકારે બદલી નાખ્યો છે આ મોટો નિયમ
જાણો તેના વિશે વિગતે
જો તમે પણ PPF ખાતામાં રોકાણ કરો છો તો તમારે આ વાંચવું ખૂબ જ જરૂરી છે. PPFમાં રોકાણ કરનારાઓ માટે સરકાર તરફથી મોટો નિયમ આવ્યો છે જેની સીધી અસર રોકાણકારો પર પડશે.
ઓફિસ મેમોરેન્ડમ જાહેર
નાણા મંત્રાલય દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે એક જ વ્યક્તિ દ્વારા 12 ડિસેમ્બર, 2019 ના રોજ અથવા તે પછી ખોલવામાં આવેલ બે કે તેથી વધુ પીપીએફ ખાતાઓને મર્જ કરી શકાશે નહીં. નાણા મંત્રાલય દ્વારા આ સંબંધમાં ઓફિસ મેમોરેન્ડમ (ઓએમ) પણ જારી કરવામાં આવ્યું છે.
2019 ના નિયમોનો હવાલો આપ્યો
ઓફિસના મેમોરેન્ડમમાં કહેવામાં આવ્યું છે કે PPF ખાતાઓનું સંચાલન કરતી સંસ્થાઓએ 12 ડિસેમ્બરે અથવા તે પછી ખોલવામાં આવેલા PPF ખાતાના મર્જરની વિનંતીઓ મોકલવી જોઈએ નહીં. તેની પાછળ પીપીએફના વર્ષ 2019ના નિયમોનો હવાલો આપવામાં આવ્યો છે.
માત્ર એક જ ખાતું સક્રિય રહેશે
OMના ઇશ્યૂ પછી, પોસ્ટ ઓફિસ દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં કહેવામાં આવ્યું હતું કે 12 ડિસેમ્બર, 2019 ના રોજ અથવા તે પછી ખોલવામાં આવેલા બે અથવા વધુ પીએફ ખાતાઓમાંથી, ફક્ત એક જ ખાતું સક્રિય રહેશે. બાકીના ખાતા બંધ કરવામાં આવશે. બંધ કરવામાં આવતા કોઈપણ ખાતા પર કોઈ વ્યાજ ચૂકવવામાં આવશે નહીં.
ઉદાહરણ દ્વારા સમજો
ઉદાહરણ તરીકે, જો તમે જાન્યુઆરી 2014માં એક PPF ખાતું ખોલ્યું અને બીજુ ફેબ્રુઆરી 2020માં. તો આ કિસ્સામાં ફેબ્રુઆરી 2020નું તમારું PPF ખાતું બંધ થઈ જશે. આ ખાતા પર કોઈ વ્યાજ મળશે નહીં. તેવી જ રીતે, જો તમે જાન્યુઆરી 2014માં પહેલું ખાતું અને ફેબ્રુઆરી 2017માં બીજું ખાતું ખોલાવ્યું હોય, તો આ બંને તમારી વિનંતી પર મર્જ કરવામાં આવશે.