સરહદ પારથી વધી રહેલી આતંકી પ્રવૃતિઓ હજુ પણ ઘટવાનું નામ નથી લઈ રહી. સરહદ પારથી આતંકીઓ ભારતીય સીમામાં ઘૂસણખોરી કરીને ભારતમાં આતંક મચાવે છે. જમ્મૂ-કશ્મીરમાં આજે પણ દિવસની શરૂઆત સેના અને આતંકીઓ વચ્ચે અથડામણથી થઈ છે.
બડગામમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ છે. જેમાં સેનાએ બે આતંકીઓને ઠાર કર્યાં છે. આમ ભારતીય સેના દ્વારા આતંકીઓને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો અને સેનાએ બે આતંકીઓનો ઘાટીમાંથી ખાતમો બોલાવ્યો છે.
આતંકીઓએ સેનાના જવાનો પર ફાયરિંગ કરતા સેના દ્વારા પણ જવાબી કાર્યવાહી હાથ ધરાઈ છે. જે બાદ સેના દ્વારા સમગ્ર વિસ્તારને ઘેરવામાં આવ્યો છે અને આતંકીઓનો ખાતમો બોલાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ પુલવામાના રત્નીપુરામાં બેથી ત્રણ આતંકીઓ છૂપાયા હતા અને આતંકીઓ તથા સેના વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં સેનાના બે જવાન ઈજાગ્રસ્ત થયા હતા.
કાશ્મીરના બડગામના ગોપાલપોરા-ચડોરા વિસ્તારમાં આજરોજ સવારે આતંકીઓ છુપાયા હોવાની સૂચના મળતા સેના દ્વારા આ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ સેના પર ફાયરિંગ કર્યું હતું. જેના જવાબમાં સેના દ્વારા જડબાતોડ જવાબ આપવામાં આવતા બે આતંકીઓ ઠાર માર્યા છે.