સમગ્ર દેશમાં લૉકડાઉનનો માહોલ ચાલી રહ્યો છે. રેલવે તથા હવાઇ મુસાફરી સંપૂર્ણ બંધ છે. કેટલીક જરૂરી સેવાઓ માટે સડક પરિવહન ચાલું રાખવામાં આવે છે ત્યારે આ વચ્ચે કોલકત્તામાં એક ચોંકાવનારી ઘટના બની હતી. ઘટના એવી બની કે, 2 જજ સડકમાર્ગે 2000 કિલોમીટરનું અંતર કાપીને હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ તરીકેનું પદ સંભાળવા માટે પહોંચ્યા હતા. તેઓને તાજેતરમાં જ ચીફ જસ્ટિસ તરીકે પદોન્નત કરવામાં આવ્યા છે.
લૉકડાઉનમાં આ બંન્ને જજોએ આટલી લાંબી યાત્રા એટલા માટે કરવી પડી કારણ કે, ન્યાય પ્રણાલીનું કામ સૂચારું રહે અને સુનાવણીમાં કોઇપણ પ્રકારની અડચણ ન પહોંચે. સૂત્રોએ સમાચાર એજન્સી પીટીઆઇને જણાવ્યું હતું કે, કલકત્તા હાઇકોર્ટના જસ્ટિસ દીપાંકર દત્તાને બોમ્બે હાઇકોર્ટના ચીફ જસ્ટીસ બનાવવામાં આવ્યા છે. તેમનો પરિવાર પહેલેથી જ મુંબઇ પહોંચી ગયો છે. અને તાજેતરમાં તેઓ પોતાના દીકરા સાથે ગાડી દ્વારા મુંબઇ જવા રવાના થયાં હતા.
ઇલાહબાદ હાઇકોર્ટના જસ્ટિસને પણ મળી પદોન્નતી
આ જ રીતે ઇલાહબાદ હાઇકોર્ટના જસ્ટિસ બિસ્વનાથ સમદ્દરને મેઘાલય હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવામાં આવ્યા છે અને તેઓ પણ કોલકત્તાથી શિલોન્ગ જવા રવાના થયાં હતા.
જસ્ટિસ સમદ્દર પોતાના નિવાસસ્થાને આરામ કર્યા બાદ મેઘાલય જવા નીકળ્યા
સૂત્રોના જણાવ્યા અનુસાર, ઇલાહાબાદ ટ્રાન્સફર થયાં પહેલા જસ્ટિસ સમદ્દર કલકત્તા હોઇકોર્ટમાં પોતાની સેવા આપી ચૂક્યા છે. જસ્ટિસ સમદ્દર શુક્રવાર સાંજે ઇલાહાબાદથી પોતાની પત્ની સાથે ઓફિસની કાર લઇને નીકળી પડ્યા હતા. શનિવારે તેઓ કોલકત્તા પહોંચ્યા અને તે જ દિવસે સાંજે શિલોન્ગ જવા રવાના થયાં હતા. સોલ્ટ લેક સ્થિત તેમના નિવાસ સ્થાને તેમણે થોડો આરામ કર્યો અને ત્યારબાદ શિલોન્ગ જવા રવાના થયા.
જસ્ટિસ દત્તા મુંબઇ જવા નિકળ્યા
આ તરફ જસ્ટિસ દત્તા શનિવારે સવારે કોલકત્તાથી મુંબઇ માટે રવાના થયાં હતા. સોમવારે સવારે તેઓ મુંબઇ પહોંચ્યા હતા. આપને જણાવી દઇએ કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુરૂવારે કલકત્તા હાઇકોર્ટના સીનિયર જસ્ટિસ દીપાંકર દત્તાને બોમ્બે હાઇકોર્ટના ચીફ જજ તથા ઇલાહાબાદ હાઇકોર્ટના જસ્ટિસ બિસ્વનાથ સમદ્દરને મેઘાલય હાઇકોર્ટના ચીફ જજ તરીકે પદોન્નત કર્યા છે.