અમદાવાદમાં મોડી રાતે ખાનપુર વિસ્તારમાં બે જૂથ વચ્ચે બબાલ થતાં પથ્થરમારાની ઘટના સામે આવી છે. જેના પગલે વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો પહોંચી ગયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે. કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી છે. તો કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા છે.
ખાનપુર વિસ્તારમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થતા માહોલ તંગ
મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરાયો
પોલીસ ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી હાથધરી
અમદાવાદના મધ્યમાં ખાનપુર વિસ્તારમાં લગભગ 10.30 વાગ્યાની મોડી રાતે બે જૂથો વચ્ચે નજીવી બાબતે મામલો બીચક્યો હતો. ત્યાર બાદ બંને જૂથ વચ્ચે પથ્થરમારો શરૂ થયો હતો. શખ્સોએ કેટલાક વાહનોમાં તોડફોડ કરી હતી. પથ્થરમારાની ઘટના બનતા જ પોલીસનો મોટી સંખ્યામાં કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાતા DCP સહિતના ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસકર્મીઓ અહીં પહોંચ્યા હતાં.
હાલ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે અને મળતી માહિતી અનુસાર પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લીધી છે. ખાનપુરમાં ભરેડિય વાસ પાસે આ ઘટના બની હતી. જેમાં સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરુપ ધારણ કર્યુ હતું.
અમદાવાદના દિલ્હી દરવાજા નજીક ફાયરિંગની ઘટના
તો બીજી એક ઘટના અમદાવાદના દિલ્હી દરવાજા નજીક બની હતી. જેમાં ચાર રસ્તા નજીક શખ્સોએ ફાયરિંગ કર્યુ હતું. ક્રાઈમબ્રાંચ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ફાયરિંગ મામલે એક કિન્નરની ધરપકડ કરવામાં આવી છે.