અમદાવાદના ચાંદખેડામાં આવેલી સિફોન શુભ લક્ષ્મી સોસાયટીમાં વીજકરંટ લાગતા 2 વ્યક્તિના મૃત્યુ થયા છે.
અમદાવાદના ચાંદખેડામાં વીજ કરંટથી 2 લોકોના મોત
કિશોરને બચાવવા જતા પાડોશી મહિલાનું પણ મોત
મૃતકોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા
અમદાવાદના ચાંદખેડામાં વીજ કરંટથી 2 લોકોના મોત થયાની ઘટના સામે આવી છે. શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલી સિફોન શુભ લક્ષ્મી સોસાયટીમાં વીજકરંટ લાગતા 2 વ્યક્તિના મૃત્યુ થયા છે. એક મહિલા સહિત કુલ 2 લોકોના વીજ કરંટથી મૃત્યુ થયા છે. એક સાઈકલ ચાલક (કિશોર) ને કરંટ લાગતા તેને બચાવવા ગયેલી મહિલાને પણ કરંટ લાગતા તેનું પણ મૃત્યુ થયું છે. બાદમાં આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.
સારવાર દરમ્યાન ડૉક્ટરોએ બંનેને મૃતક જાહેર કર્યા
ઉલ્લેખનીય છે કે, આ ઘટના બાદ કિશોર અને મૃતક મહિલા બંનેના ઘરમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. મળતી માહિતી મુજબ, મૃતક કિશોર ઘરના લોખંડનો ગેટ ખોલવા જતા દરવાજા પાસે આવેલા ઇલેક્ટ્રિક વીજપોલના કારણે તેને શોક લાગ્યો હતો. બાદમાં તેના પાડોશી બહેન તેઓને બચાવવા દોડ્યા હતા. ત્યારે તેઓને પણ શોક લાગ્યો હતો. બાદમાં બંનેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ફરજ પર હાજર ડૉક્ટરે બંનેને મૃત જાહેર કર્યા હતા. હાલમાં બંને મૃતકોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જો કે આ ઘટના બાદ સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપ્યો છે.
આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ
શિફોન સોસાયટીના રહીશનું કહેવું છે કે, GEB દ્વારા વીજ કનેક્શનનું ખરાબ રીતે જોડાણ કરવામાં આવ્યું હતું. જેના લીધે તેને અડતા કિશોર (બિપીન) ને વીજ કરંટ લાગ્યો હતો. જેથી તેને બચાવવા જતા પાડોશમાં રહેતા અર્ચનાબહેનને પણ વીજ કરંટ લાગ્યો હતો. આથી, આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.