રોડ અકસ્માતનો એક ગોઝારો બનાવ અરવલ્લીમાં બન્યો છે જેમાં બે યુવકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા છે.
અરવલ્લી માલપુરમાં ગમખ્વાર અકસ્માત
હેલોદર નજીક બાઈક સ્લીપ થતા અકસ્માત
બે યુવકોના ઘટનાસ્થળે મોત
અરવલ્લી માલપુરના હેલોદર નજીક બાઈક સ્લીપ ખાઈ જતા અકસ્માતની ઘટના સામે આવી છે. બાઈક ઉપર સવાર બે યુવકોના ઘટના સ્થળે મોત થતા ચકચાર મચી ગઈ છે. બંને યુવકો દબારણથી માલપુર તરફ આવી રહ્યા હતા. મૃતક યુવકોના મોતથી દબારણ ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. માલપુર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
છેલ્લા 3 વર્ષમાં 21000ના મોત
ગુજરાત વિધાનસભામાં અકસ્માતના જે આકંડા રજૂ કરવામાં આવ્યા હતા તે ખરેખર ચોંકાવનારા હતા. ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં માર્ગ અકસ્માતમાં 21,000થી વધુ લોકોના મોત નીપજ્યા છે જ્યારે 46,000થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ગુજરાત વિધાનસભામાં સપ્ટેમ્બર 2020 સુધીના છેલ્લા ત્રણ વર્ષના માર્ગ અકસ્માતના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા.
રાજ્યના ગૃહ મંત્રાલય દ્વારા વિધાનસભામાં જાહેર કરવામાં આવેલા ડેટા પ્રમાણે સપ્ટેમ્બર 2020 સુધી છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યમાં માર્ગ અકસ્માતમાં 21,529 લોકોના મોત નીપજ્યા છે જ્યારે 46,146 લોકો ઘાયલ થયા હતા.
શહેરી વિસ્તારમાં કેટલા મોત
સુરત ગ્રામ્ય પોલીસના અધિકારક્ષેત્રમાં સૌથી વધારે 1,257 લોકોના મોત નીપજ્યા છે જ્યારે અમદાવાદ શહેરમાં 1,075 સાથે બીજા ક્રમે છે. વલસાડમાં 998, બનાસકાંઠામાં 971, વડોદરા ગ્રામ્યમાં 947, અમદાવાદ ગ્રામ્યમાં 923, ભરૂચ જિલ્લામાં 917 અને સુરત શહેરમાં 808 મોત નોંધાયા હતા.
ખેડામાં સૌથી વધુ મોત
ખેડા જિલ્લામાં સૌથી વધારે 2,349 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે સુરત શહેરમાં 2,175, ભરૂચમાં 1,801, ગાંધીનગરમાં 1,794, ગોધરામાં 1,726 અને વડોદરા ગ્રામ્યમાં 1,722 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.