વડોદરાના પાદરામાં આવેલા સંતોષપુરી નજીકથી બે બાળકો ગુમ થયા હોવાની ઘટના સામે આવી હતી. ત્યારબાદ સ્થાનિકો અને પરિવારજનોએ બંને બાળકોની શોધખોળ હાથ ધરી હતી. ત્યારે આજે વહેલી સવારે બંને બાળકોના મૃતદેહ તળાવમાંથી મળી આવ્યા છે.
ઘટનાની વિગત એવી છે કે, પાદરાના સંતોષપુરી નજકીથી બે બાળકો ગુમ થયા હતા. આ બંને બાળકો બપોરે અંબાજી તળાવમાં માછલીને લોટ ખવડાવવા માટે ગયા હતા, પરંતુ મોડે સુધી તેઓ ના મળી આવતા તેમની શોધખોળ હાથ ધરાઈ હતી અને આશંકા સેવાઈ હતી કે તેઓ તળાવમાં ડૂબ્યા હોઈ શકે છે.
ત્યારબાદ મોડી રાતે લોકોના ટોળા તળાવે એકત્ર થયા હતા અને બાળકોની શોધખોળ હાથ ધરાઈ હતી, પરંતુ આજે વહેલી સવારે સ્થાનિક તરવૈયાઓની મદદથી બંને બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા. ઉલ્લેખનીય છે, આ બાળકો પોતાના મામાના ઘરે વેકેશન ગાળવા માટે આવ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.