રાજકોટના શાપરમાં ગુરુવાર બપોરથી લાપતા બે બાળકોના શુક્રવાર સાંજે મળી આવ્યા મૃતદેહ, એકની ઉંમર 5 તો બીજાની ઉંમર 9 વર્ષની
રાજકોટના શાપરમાં બે બાળકોના મોત
તળાવમાં ન્હાવા પડેલા બાળકોના મળી આવ્યા મૃતદેહ
પરિવાર થયો શોકમાં ગરકાવ
ગુજરાતમાં મેઘરાજાની પધરામણી થઇ ચૂકી છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત મેઘરાજા હેત વરસાવી રહ્યા છે . આખુ વર્ષ રાહ જોવડાવ્યા બાદ પણ મેઘરાજા આવે તો હરખ તો થાયને, નાના બાળકોથી માંડીને ખેડૂતો સુધી ખુશીની લાગણી જોવા મળે છે. વરસાદ પડતા જ બાળકો તો ગેલમાં આવી જઇને વરસાદી પાણીમાં મોજ મસ્તી કરતા નજરે પડે છે. ત્યારે જો તમે પણ તમારા બાળકોને વરસાદમાં ન્હાવા મોકલતા હોવ તો જરા સાવધાની દાખવજો. કારણ કે રાજકોટમાં એક દુર્ઘટના સામે આવી છે જે જાણીને માતા પિતાએ ચેતી જવાની જરૂર છે.
તળાવમાં ન્હાવા પડેલા બાળકોના મોત
રાજકોટના શાપર વેરાવળ પાસે આવેલા તળાવમાં ન્હાવા પડેલા બે બાળકોના મોત થતા ચકચાર મચી છે. મળતી માહિતી અનુસાર વરસાદી પાણીમાં બે બાળકો તળાવમાં ન્હાવા પડ્યા હતા. પરંતુ સાંજ સુધી બાળકો પરત ન આવતા માતા પિતા ચિંતિત થયા હતા. પરિજનો દ્વારા શોધખોળ કરતા પણ બાળકો મળી ન આવ્યા જેથી પોલીસને જાણ કરવામાં આવી. પોલીસે તપાસ હાથ ધરતા તળાવમાંથી બે બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા.
શ્રમિક પરિવાર શોકમાં ગરકાવ
એક બાળકની ઉંમર 5 વર્ષ તો બીજા બાળકની ઉંમર 9 વર્ષની છે. બંનેના મૃતદેહ મળી આવતા પરિવારમાં શોકની લાગણી જોવા મળી રહી છે. પરિજનોની આંખમાંથી આંસુ સુકાવવાનું નામ નથી લઇ રહ્યા. વ્હાલસોયા દિકરા ગુમવવાનો વારો આવતા પરિવાર શોકમાં ડૂબી ગયો હતો. આ બંને બાળકો શ્રમિક પરિવારના હોવાનું જાણવા મળ્યું છે.
ગુરુવાર બપોરથી બાળકો લાપતા
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મીના કાસ્ટિંગ ફેક્ટરીના ગેટ પાસે ઝૂંપડપટ્ટીમાં વિક્રમભાઈ બારૈયાનો પરિવાર રહેતો હતો. તેઓ મૂળ મધ્યપ્રદેશના છે પરંતુ ઘણા સમયથી શાપરમાં મજૂરીકામ કરે છે. બાળકો ગુરુવારે બપોરથી જ લાપતા થતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી. પરંતુ શુક્રવારે સાંજે તળાવમાંથી મૃતદેહ મળી આવતા પરિવાર શોકમાં ગરકાવ થયો હતો.